Rajkot Civil Hospital Controversy: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે મહિલા તબીબની હિંમત વધારવાની સાથે તેમને ન્યાય અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
રાજકોટથી પંચમહાલ બદલી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બદલી કરવામાં આવી છે.
ગેરવર્તણૂક ઘટના બાદ આરોગ્ય મંત્રીનો સ્પષ્ટ સંદેશ!
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યસ્થળે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અયોગ્ય વર્તનને બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મહિલા તબીબો સમાજને આરોગ્યસેવા પૂરી પાડવામાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમની સાથે સન્માનપૂર્ણ અને સુરક્ષિત કાર્યસ્થળ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિલા સન્માન સાથે કોઈ સમાધાન નહીં
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનજનક અને હકારાત્મક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે, મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તેમજ સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આવી ગેરવર્તણૂકના કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.