ઈ-20 પેટ્રોલનો ડર: વાહન ચાલકોને એવરેજ અને એન્જિનના આયુષ્યની ચિંતા થઈ, પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો

By: Nation Gujarat Team
22 Aug, 2026

નવી દિલ્હી: ઈથેનોલ મિશ્ચિત પેટ્રોલથી વ્હીકલ્સની એવરેજ અને એન્જિનના આયુષ્યને લઈને ચિંતાને કારણે ગ્રાહકો હવે પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળી રહ્યા છે. આ કારણે કુલ વેચાણમાં પ્રીમિયમ પેટ્રોલનો હિસ્સો માર્ચ મહિનાના લગભગ ૪ ટકાથી વધીને ૧૫ ટકા થયો છે.


જાણકારોના મતે, ગ્રાહકો એ વાતથી અજાણ છે કે, પ્રીમિયમ પેટ્રોલમાં પણ ૨૦ ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. તેઓ ઈન્ડિયન ઓઈલના એક્સપી-૯૫, ભારત પેટ્રોલિયમના સ્પીડ અને હિંદુસ્તાન પેટ્રોલિયમના પાવર-૯૫ જેવા હાઈ-ઓક્ટેન વેરિઅન્ટ્સ માટે લગભગ ૧૫ રૂપિયા વધુ ચૂકવીને માની રહ્યા છે કે, તે વ્હીકલ માટે સારું રહેશે. જેમને જાણ છે તેઓ માની રહ્યા છે કે, હાઈ-ઓક્ટેન રેટિંગને કારણે માઈલેજ પર ઓછી અસર પડે છે.


પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા અનુસાર, વધુ એડિટિવ ધરાવતા અને ઈથેનોલ મુક્ત એવા ઓક્ટેન ૧૦૦ ફ્યુઅલ વિશેની પૂછપરછ વધી છે. તેની મર્યાદિત ઉપલબ્ધતા અને પ્રતિ લિટર રૂપિયા ૧૬૦થી ૧૭૦ ભાવ હોવાથી તેનું વાસ્તવિક વેચાણ હજુ મર્યાદિત છે. હાલ, કુલ વેચાણનો ૧ ટકા હિસ્સો આ પેટ્રોલનો છે. આ વચ્ચે પેટ્રોલના કુલ વેચાણમાં કોઈ ફેરફાર નથી થયો. બીજી તરફ, ડીઝલના વેચાણમાં વધારો થયો છે. જે દર્શાવે છે કે, ગ્રાહકો ડીઝલ કાર્સ તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડીઝલમાં હાલ મિશ્રણ નથી કરવામાં આવતું.


Related Posts

Load more