Nepal Floods: નેપાળમાં આવેલા ભીષણ પૂર હોનારતે ભારે તબાહી મચાવી છે. દુર્ઘટનાના 8 દિવસે પણ રાહત અને બચાવ કામગીરી યથાવત છે. આમ, ઘટનાના 8 દિવસ બાદ પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. નેપાળ પોલીસના તાજેતરના આંકડા અનુસાર, મંગળવારે(1 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગ્યા સુધીમાં આ દુર્ઘટનામાં 1,093 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 4,000 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
નેપાળમાં પૂર હોનારતમાં કુલ મૃતકાંક 1093ને પાર
નેપાળમાં ભયંકર પૂરની ઘટના ગત 26 ઓગસ્ટના રોજ બની હતી. જેમાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરથી ચારેય તરફ ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. જેમાં વિચારવામાં પણ ન મળે એટલાં થોડાક જ સમયમાં પાણી અને કાટમાળ ગામડાઓ અને નગરો પર ફરી વળ્યા હતા. ઘણી જગ્યાએ ઘરો, રસ્તાઓ અને અન્ય ઇમારતો કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.
નેપાળ સરકારે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ સંકટ ક્ષેત્ર જાહેર કર્યો છે. સરકારના કહેવા અનુસાર, આનાથી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનોની ઝડપી ડિલિવરીને સરળ બનાવશે. તેમજ રાહત ટીમોની વધુ અસરકારક તૈનાતીને સક્ષમ બનાવશે. સરકાર હવે બચાવ કામગીરીની સાથે રાહત અને પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. બચાવ કામગીરીની ટીમો કાટમાળ વચ્ચે લોકોને સતત શોધી રહી છે. આ દરમિયાન ગુમ થયેલા લોકોના પરિવારો હજુ પણ તેમના પ્રિયજનોના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.
હેલિકોપ્ટરથી દેખાઈ તબાહીની ભયંકર તસવીર
ચીન મીડિયા ગ્રુપ(CMG)ના એક પત્રકારે સોમવારે હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું. આ વિસ્તાર ચીન-નેપાળ સરહદ પર સ્થિત ગ્યિરોંગ-રસુવા સરહદ ક્રોસિંગની નેપાળી બાજુએ આવેલો છે. હવામાંથી લેવામાં આવેલી છબીઓમાં ભારે વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ રિપોર્ટ મુજબ, સરહદ ચોકી નજીકના નેપાળ બાજુના ઘણા ગામડાઓ અને નાના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ઘણા વાહનો અને ઇમારતો કાટમાળના ઊંડા સ્તરો નીચે દટાઈ ગઈ છે. જ્યાં એક સમયે માનવીઓ આવજાવ કરતાં હતા ત્યાં હવે માટી અને કાટમાળ સિવાય કંઈ દેખાતું નથી. કાદવને કારણે આ વિસ્તારમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે.
નેપાળ પૂર તબાહીમાં સૌથી વધુ પ્રભાવિત શહેર
આ તબાહીમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં સ્યાબ્રુબેંસી છે. આ શહેર સરહદ ચોકીથી સીધી રેખામાં 10 કિલોમીટરથી ઓછા અંતરે આવેલું છે. આપત્તિ પહેલા આ સ્થળ ખૂબ જ ધમધમતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
હેલિકોપ્ટર દ્વારા વિસ્તારનું સર્વેક્ષણ કરી રહેલા પત્રકારે જણાવ્યું કે, શહેરમાં નાગરિકોની હાજરી ઓછી જણાતી હતી. ફક્ત રાહત અને બચાવ ટીમોના સભ્યો જ દેખાતા હતા. આ ટીમો કાટમાળ વચ્ચે જીવન મૃત્યુનું વચ્ચે જજુમી રહેલા વ્યક્તિની શોધ કરી રહ્યા છે.