Nepal Flash Floods: નેપાળ અને તિબેટ સરહદે આવેલા ભયાનક પૂર અને વિનાશક ભૂસ્ખલનને કારણે સમગ્ર નેપાળમાં ભારે તબાહી મચી ગઈ છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 1,200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલ છે. જ્યારે અન્ય 4000 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોની શોધખોળ માટે સ્થાનિક વહીવટી તંત્ર, સુરક્ષા દળો અને પીડિત પરિવારો સતત પ્રયાસ કરી રહ્યા છે.
કાઠમંડુની સૌથી મોટી ત્રિભુવન હોસ્પિટલની બહાર અત્યારે માત્ર આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલની દિવાલો પર પોતાના લાપતા પરિજનોની શોધ માટે લોકોએ તસવીરો લટકાવી રાખી છે. હોસ્પિટલમાં હાલમાં 161 થી વધુ એવા મૃતદેહ પડ્યા છે, જેમની હજી સુધી કોઈ ઓળખ થઈ શકી નથી.
પૂરના એક સપ્તાહ બાદ પણ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ છે કે ડોક્ટરો માટે તેમના ફિંગરપ્રિન્ટ કે ઓળખના ચિહ્નો લેવા પણ અત્યંત મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ બહુમતી ધરાવતા નેપાળ દેશમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગ્નિદાહ આપીને કરવાની પરંપરા છે.
જોકે, રોગચાળો ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાઠમંડુના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ જિલ્લામાંમૃતદેહોને અસ્થાયી રૂપે દફનાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં જ્યારે પરિવારો દ્વારા DNA ટેસ્ટની માંગણી કરવામાં આવે, ત્યારે ઓળખ સુનિશ્ચિત કરવા માટે ચિતવન જેવા જિલ્લામાંદોઢ મીટર ઊંડા ખાડા ખોદીને વૈજ્ઞાનિક પદ્ધતિ અને નંબરિંગ સાથે મૃતદેહોની દફનવિધિ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અત્યંત ગમગીન અને હૃદયદ્રાવક સમયમાં ઘણા પીડિત પરિવારોએ ભારે હૃદયે સ્વીકારી લીધું છે કે તેમના લાપતા બનેલા સ્વજનો હવે ક્યારેય જીવતા પાછા નહીં ફરે. આથી, સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા નુવાકોટ જેવા જિલ્લામાં ત્રિશૂલી નદીના કિનારે પરિવારો દ્વારા ઘાસ-ફુસના પુતળા બનાવીને પોતાના વ્હાલસોયા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ભીની આંખે હંમેશ માટે વિદાય આપવામાં આવી રહી છે.
આ ભયાનક આપત્તિ વચ્ચે નેપાળ સરકારે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધ અને અમીર દેશો પાસે ‘ક્લાયમેટ જસ્ટિસ’ માંગણી કરી છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું છે કે, જે ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તન માટે નેપાળ બિલકુલ જવાબદાર નથી, તેની આટલી મોટી અને ભયાનક કિંમત દેશ ચૂકવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જનમાં નેપાળનો હિસ્સો નહિવત્ છે. જ્યારે ચાઈના, અમેરિકા અને ભારત જેવા વિશાળ ઔદ્યોગિક દેશો તેના માટે જવાબદાર છે.
નેપાળ સરકારના નાણા મંત્રાલયે પણ વૈશ્વિક ભાગીદાર દેશોને એક સત્તાવાર પત્ર મોકલીનેક્લાયમેટ કમ્પેન્સેશનનો દાવો કર્યો છે. તેમણે ગંભીર ચેતવણી આપી છે કે જો હિમાલયનાગ્લેશિયર આ જ ગતિએ ઓગળતા રહેશે, તો સમગ્ર દક્ષિણ એશિયાની સંસ્કૃતિ અને નદીના પાણી પર નિર્ભર 2 અબજથી વધુ લોકોનું અસ્તિત્વ જળ સંકટને કારણે ગંભીર જોખમમાં મુકાઈ જશે.