મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આગામી સમયમાં યોજાનાર લોકપ્રિય ભાદરવી પૂનમ મહામેળો 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટતા આ મહામેળાને સફળ બનાવવા તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંબાજી આવતા સેવા કેમ્પોના આયોજન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.આ વર્ષે મહામેળા દરમિયાન સેવા કેમ્પ શરૂ કરવા ઈચ્છુક સંસ્થાઓ, મંડળો અને ટ્રસ્ટો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.
આગામી ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે. પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહામેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.ambajitemple.in પર ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને SDM કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ એસ.ડી.એમ. કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સેવા કેમ્પના આયોજકોએ કેમ્પમાં ફાયર સેફ્ટી, વીજ સુરક્ષા, પીવાના પાણીની શુદ્ધતા, સ્વચ્છતા અને યાત્રાળુઓની ભૌતિક સલામતીની વિશેષ જવાબદારી નિભાવવાની રહેશે.