સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણીનગર – અમદાવાદના સંતો શ્રાવણ માસમાં ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવા માટે યુરોપ પધાર્યા છે.
યુરોપના માન્ચેસ્ટર શહેરમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાપુજા અને કીર્તન ભક્તિ કરવામાં આવી હતી.ત્યારબાદ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ સત્સંગ સભાને સંબોધી હતી. આ પ્રસંગે માંચેસ્ટરના અને લંડનથી પધારેલા હરિભક્તોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની કેવળ કૃપા થકી તમે ભારતમાંથી અહીંયા યુરોપમાં આવ્યા છો. પરંતુ યુરોપમાં આવ્યા પછી જો ભારતીય સંસ્કૃતિ – સંસ્કારો અને માતૃભાષાને ભૂલી જશો તો પસ્તાશો.આ દેશમાં આવ્યા પછી પણ વ્યસનમુક્ત અને સદાચારમય જીવન જીવવું જોઈએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, એ પ્રમાણે જો જીવશો તો સુખી થશો. સુખ માત્ર સંપત્તિમાં નથી , સદાચારમય જીવન જીવવામાં છે.તમે જીવનભર સુખી રહેવા ઈચ્છતા હોવ તો, તમારા બાળકોને ભારતીય સંસ્કાર આપજો. બાળકોને નાનપણથી જ ગુજરાતી ભાષા શીખવજો. ઘરની અંદર પણ ગુજરાતી ભાષા જ બોલજો. બાળકોને ગુજરાતી ભાષા આવડતી હશે તો, આપણા ધાર્મિક ગ્રંથોનું પઠન પાઠન કરી શકશે અને તેના કારણે આપણા ભારતીય સંસ્કારો તેનામાં જળવાઈ રહેશે. જો તમે બાળકોને સંસ્કાર નહીં આપો તો, લાંબા ગાળે તમારે પસ્તાવાનો વારો આવશે. તેથી દરેક માતા-પિતાની ફરજ છે કે પોતાના બાળકોને સારા સંસ્કારો આપે અને ગુજરાતી ભાષા શીખવે