હપ્તાખોરીથી દારૂબંધી માત્ર કાગળ પર..!’ગુજરાતમાં ચારે સરહદોથી ટેન્કરો ભરી ભરીને આવે છે, લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

By: Nation Gujarat Team
20 Aug, 2026

ભાવનગરમાં બનેલી ઝેરી દારૂની ગંભીર ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને માનવસર્જિત ટ્રેજેડી ગણાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો કાગળ પર છે. ગુજરાતમાં ચારે સરહદોથી ટેન્કરો ગુજરાતમાં આવે છે. જેના કારણે નાની ઉંમરે બહેન દીકરીઓ હેરાન થાય છે, ગલીએ ગલીએ ચર્ચા છે કે દારૂ આવે છે ક્યાંથી અને વેચાય છે ક્યાંથી? દારૂ વેચવાની સાથે લઠ્ઠાકાંડ પણ થાય છે, અને અનેક લોકોના મોત માટે સરકાર જવાબદાર ગણાય છે.

હપ્તાખોરી નીતિના કારણે દારૂબંધી કાગળ પર
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અમિત ચાવડાએ સીધો આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષ ભાજપની ‘હપ્તાખોરી’ નીતિના કારણે જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. રાજ્યમાં ચારેય સરહદો પરથી ખુલ્લેઆમ ટેન્કરો ભરીને વિદેશી તથા ઝેરી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આજે ગલીએ ગલીએ લોકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે જો રાજ્યમાં કડક દારૂબંધી છે, તો પછી આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી અને કોના આશીર્વાદથી વેચાય છે?

દારૂના દૂષણને કારણે નાની ઉંમરે આપણી બહેન-દીકરીઓ ભારે હેરાનગતિ
દારૂના વેચાણ અને અસામાજિક તત્વોના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે દારૂના દૂષણને કારણે નાની ઉંમરે આપણી બહેન-દીકરીઓ ભારે હેરાનગતિ ભોગવી રહી છે. વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા હણાઈ ગઈ છે. દારૂ વેચવાની સાથે સાથે રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ પણ સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ તમામ અકાળે થયેલા મોત માટે સીધી રીતે રાજ્ય સરકાર જ જવાબદાર છે.

ભાવનગરનો બનાવ પ્રથમ વાર નથી! જાણો રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓ…
કોંગ્રેસ પ્રમુખે ભૂતકાળના બનાવો ટાંકીને જણાવ્યું હતું કે ભાવનગરની આ ઘટના કોઈ પ્રથમ વાર નથી બની, પરંતુ ભાજપના શાસનમાં આવી હોનારતો સતત વધતી જાય છે. ૨૦૦૯માં અમદાવાદ લઠ્ઠાકાંડમાં 140 લોકોના મોત થયા હતા અને 240 લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવવી પડી હતી. ત્યારબાદ 2022માં બોટાદ લઠ્ઠાકાંડમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. 2024માં દહેગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતા. 2025માં ખેડામાં ૩ લોકોના મોત અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. જ્યારે તાજેતરમાં બનેલી ભાવનગરમાં નકલી દારૂના કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂઝી રહ્યા છે.

ભાવનગર FIR માં મોટો ખુલાસો અને અધિકારીઓની નિષ્ક્રિયતા
ભાવનગરમાં નોંધાયેલી પોલીસ એફ.આઈ.આર. (FIR) નો ઉલ્લેખ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, FIR માં પણ સ્પષ્ટપણે ‘નકલી દારૂ પીવાથી મોત થયાનો’ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર હપ્તો લેવાની લાલસા અને ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર નાના કર્મચારીઓ સામે જ પગલાં કેમ? આ ઘટનામાં જિલ્લા SP, રેન્જ IG કે GD જેવા ઉચ્ચ અધિકારીઓની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી? આટલી મોટી ઘટના બની હોવા છતાં રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જનતાની માફી કેમ નથી માગતા?

મંત્રીઓની સંવેદનહીનતા અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ
અમિત ચાવડાએ સરકારની સંવેદનહીનતા પર પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ લઠ્ઠાકાંડમાં ગરીબ અને નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને બીજી તરફ રાજ્યના ખેલમંત્રી/રમતગમત મંત્રી ક્યાંક ગરબા રમતા તો ક્યાંક સોશિયલ મીડિયા પર રીલ બનાવતા જોવા મળે છે. લઠ્ઠાકાંડમાં લોકોના મોત થાય તેની સીધી અને નૈતિક જવાબદારી રાજ્યના ગૃહમંત્રીની બને છે.

કોંગ્રેસ પક્ષની શું છે માંગણીઓ અને આગામી રણનીતિ
આ ઘટના સંદર્ભે કોંગ્રેસ પક્ષે નીચે મુજબના કડક પગલાં અને માંગણીઓ રજૂ કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ માટે હાઇકોર્ટના સેટિંગ જજ (હાલના ન્યાયાધીશ) ની સીધી દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવે. કોંગ્રેસનું એક વિશેષ ડેલિગેશન ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે ભાવનગરની રૂબરૂ મુલાકાત લેશે અને પીડિત પરિવારોને મળશે. ડેલિગેશન દ્વારા તૈયાર કરાયેલા વિસ્તૃત રિપોર્ટના આધારે આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે સરકારને ઘેરવામાં આવશે અને જવાબદાર ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવશે.


Related Posts

Load more