જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માં સંભવિત વિભાજન ટાળવા માટે આ પગલું ભર્યું હતું. જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પક્ષમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની માંગ કરવામાં આવી રહી હતી.
ઉપલા ગૃહના ચૂંટણી પરિણામથી વડા પ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરની પકડ વધુ નબળી પડી ગઈ હતી, જોકે તેમણે પક્ષના વડા તરીકે રહેવાની જાહેરાત કરી હતી. ઇશિબાએ આનું કારણ અમેરિકા સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટો ગણાવી હતી, જ્યાં તાજેતરમાં જ યુએસ પ્રમુખ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે.જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથી કોમેટોએ કુલ 47 બેઠકો જીતી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી. ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું.
ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી નીચલા ગૃહની ચૂંટણીમાં, LDP ને છેલ્લા 15 વર્ષમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે, ઇશિબા સરકાર હવે અવિશ્વાસ દરખાસ્તો અને પક્ષની અંદર નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીના પરિણામો આવ્યા પછી, પીએમ ઇશિબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું આ કઠોર પરિણામને સંપૂર્ણ ગંભીરતાથી સ્વીકારું છું.”