ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને 2005 થી 2007 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ રહેલા ગ્રેગ ચેપલે વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ અંગે મોટો દાવો કર્યો છે. ગ્રેગ ચેપલ માને છે કે વિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય તેની બેટીંગના ખરાબ પ્રદર્શનને કારણે નથી, પરંતુ વર્ષોથી રમતના તેના પર પડેલા પ્રભાવને કારણે છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનએ કહ્યું કે કોહલીએ ઉચ્ચતમ સ્તરે પ્રદર્શન કરવા માટે જરૂરી માનસિક સ્પષ્ટતાના અભાવને કારણે નિવૃત્તિ લીધી છે. ચેપલે ESPNcricinfo માટેના તેમના કોલમમાં લખ્યું, “તેમનો નિર્ણય બેટીગમા ખરાબ પ્રદર્શનને કારણે નહોતો, પરંતુ વધતી જતી અનુભૂતિને કારણે હતો કે તે હવે તે માનસિક સ્પષ્ટતા પ્રાપ્ત કરી શકશે નહીં જેણે તેને આટલો મજબૂત બનાવ્યો હતો.”
ભૂતપૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું, “તેમણે સ્વીકાર્યું કે ઉચ્ચતમ સ્તરે, જ્યાં સુધી મન તીક્ષ્ણ અને નિર્ણાયક ન હોય, ત્યાં સુધી શરીર ડગમગતું રહે છે.” કોહલીએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે ૧૨૩ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૩૦ સદીની મદદથી ૯,૨૩૦ રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સરેરાશ ૪૬.૮૫ હતી. એક સમયે ટેસ્ટમાં તેમની સરેરાશ ૫૦ થી વધુ હતી. ખરાબ ફોર્મને કારણે, તે સતત ઘટી રહી હતી.
ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું કે શંકા ખેલાડીની રમતમાં ઘૂસી જવાનો માર્ગ શોધે છે જે ધીમે ધીમે ઉચ્ચ સ્તરના પ્રદર્શન માટે જરૂરી નિર્ણય લેવાની ક્ષમતા, ફૂટવર્ક અને સ્વયંસ્ફુરિતતાને અસર કરે છે. ચેપલે કહ્યુ છે, “જ્યારે શંકા તમારી અંદર સ્થાયી થવા લાગે છે, ત્યારે તે નિર્ણય લેવાની ક્ષમતાને અવરોધે છે, ફૂટવર્કને બગાડે છે અને ઉચ્ચ પ્રદર્શન માટે જરૂરી સ્વયંસ્ફુરિતતાને નષ્ટ કરે છે. કોહલીની નિવૃત્તિ એ યાદ અપાવે છે કે ફોર્મ વધુ મનની રમત છે.”