સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – મણિનગર દ્વારા ધૂળેટી – ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ગુલાલ અને કેસૂડાંના જળથી રંગવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનોનું ગાન કરીને ઓચ્છવ કરવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી ખજૂર ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફૂલદોલોત્સવ – રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ‘ફુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ ઉત્સવ ઉજવાય છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસૂડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.
‘ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે.વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળમાં ઝુલાવામાં આવ્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરૂપે બિરાજીને દર્શન આપ્યા હતા.