Shreyas Iyer Injury: ICUમાં એડમિટ છે શ્રેયસ ઐય્યર

By: nationgujarat
27 Oct, 2025

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં ઈજા થયા બાદ ભારતના વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવતાં તે હાલમાં ICUમાં છે. તેની હાલત હવે સ્થિર છે. આ ઘટનાની જાણકારી ધરાવતા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે ઐય્યરને ઈન્ટરનલ બ્લીડિંગ થયું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.સિડની વનડે દરમિયાન શ્રેયસ ઐય્યરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. તેણે બેકવર્ડ પોઈન્ટથી દોડીને કેચ પકડ્યો હતો. જોકે, તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને પડી ગયો, જેના કારણે તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે તેને દુખાવો થયો અને શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના રિપોર્ટમાં ઈન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યુ હતું.  જેના કારણે તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણકારી ધરાવતા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “તેમની રિકવરી પર આધાર રાખીને તેમને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. ઈન્ટરનલ બ્લીડિંગના કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે આ જરૂરી છે. ટીમના ડોકટરો અને ફિઝિયોએ કોઈ જોખમ લીધું નહીં અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા. તેની સ્થિતિ હવે સ્થિર છે, પરંતુ તે જીવલેણ બની શકે તેમ હતું.”

મેદાનમાં પાછા ફરવામાં સમય લાગશે

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, “તે એક શાનદાર ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. ઈન્ટરનલ બ્લીડિંગ થયું હોવાથી તેને ચોક્કસપણે સ્વસ્થ થવા માટે વધુ સમયની જરૂર પડશે. આ સમયે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી મુશ્કેલ છે.”

શ્રેયસ ઐય્યર શરૂઆતમાં લગભગ ત્રણ અઠવાડિયા માટે ક્રિકેટથી બહાર રહે તેવી શક્યતા હતી પરંતુ હવે તેનો રિકવરી સમયગાળો થોડો લાંબો હોઈ શકે છે. શ્રેયસ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણીનો ભાગ નથી, જે 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને સ્વસ્થ થયા પછી ઘરે પરત ફરશે.


Related Posts

Load more