સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…
આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…
આ પુસ્તક પ્રકાશન પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.
સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.
સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.
અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.