Salim Merchant on Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે દેશભરમાં આક્રોશ છે. તેમજ આ હુમલાને લઈને બોલિવૂડથી લઈને ક્રિકેટર્સ બધાએ આકરી નિંદા કરી છે. એવામાં હવે આ મામલે બોલીવૂડના પ્રખ્યાત ગુજરાતી સિંગર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા સામે આવી છે.
પહલગામ હુમલા પર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા
મ્યુઝિક કમ્પોઝર અને પ્લેબેક સિંગર સલીમ મર્ચન્ટે પહલગામ હુમલા પર દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટનાને લઈને સિંગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને હુમલાની કડક નિંદા કરી હતી.
ઇસ્લામ હિંસા નથી શીખવતું: સલીમ મર્ચન્ટ
આ હુમલા પર પોતાના વિચાર વ્યક્ત કરતા સિંગરે જણાવ્યું કે, ‘પહલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા એ માટે થઈ કારણ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહિ. શું આ હત્યારાઓ મુસલમાન છે? ના, તેઓ આતંકવાદી છે. કારણ કે ઇસ્લામ આવું નથી શીખવતું. કુરાન-એ-શરીફમાં સૂરહ અલ-બકરા, આયત 256 માં કહેવામાં આવ્યું છે કે ધર્મના મામલામાં કોઈ બળજબરી ન હોય. આવું કુરાન-એ-શરીફમાં લખવામાં આવ્યું છે.’
સિંગરે પીડિતો માટે કરી દુઆ
આ મામલે સલીમ મર્ચન્ટે વધુમાં કહ્યું કે, ‘મને મુસલમાન હોવા પર શરમ આવી રહી છે કે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. મારા નિર્દોષ ભાઈ-બહેનોને ખૂબ જ નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. માત્ર એટલા માટે જ કે તેઓ હિન્દુ છે. કાશ્મીરમાં રહેતા લોકો જે છેલ્લા ત્રણ વર્ષથી સામાન્ય જીવન જીવી રહ્યા હતા તેમના જીવનમાં ફરી એ જ સમસ્યા આવી. મને સમજાતું નથી કે હું મારું દુઃખ અને ગુસ્સો કઈ રીતે વ્યક્ત કરું. મારી સંવેદનાઓ તેમની સાથે છે.’