કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં હરભક્તો ઉપસ્થિત રહ્યા

By: nationgujarat
25 Nov, 2025

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર – અમદાવાદ ખાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા તેનું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવ્યા. ત્યારબાદ સભામાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી વચનામૃત ઉપર વિવેચન કર્યું હતું.

કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ શ્રીજીવિજય સેવા સમિતિના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, આજથી ૨૦૬ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી “વચનામૃત”રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દ્રષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.

વચનામૃત એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના પરમહંસો તથા હરિભક્તોની આધ્યાત્મિક ગોષ્ઠી.

શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવસે કે રાત્રે જ્યારે પણ સભામાં વાતો કરતા તે પાંચ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રી હરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમેલિત વ્યક્તિઓ વગેરે બાબતોનો ઐતિહાસિક પ્રમાણ સાથેનો આ વચનામૃત અદ્ભૂત ગ્રંથ છે. દરેક માનવીના મનમાં મુંઝવતાં પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.

વચનામૃત ગ્રંથમાં ધર્મ – જ્ઞાન – વૈરાગ્ય – ભક્તિ એવા એકાંતિક ધર્મનું અદ્ભૂત નિરૂપણ કરવામાં આવેલું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી આ જે વાણી વહી તેનાં કુલ ૨૭૩ વચનમૃતો છે.જેનો સંગ્રહ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્. શ્રી મુકતાનંદ સ્વામી, સદ્. શ્રી નિત્યાનંદ સ્વામી, સદ્.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્.શ્રી શુકાનંદ સ્વામી એ કર્યો છે. આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.તેથી આજેય અસંખ્ય માણસો તેનો લાભ લઈને કૃતાર્થ બને છે.આ વચનામૃતમ્ ગ્રંથ સૌને શીરાની જેમ ગળે ઉતરી જાય અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાય તે માટે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે.


Related Posts

Load more