ધર્મેન્દ્ર પ્રધાન બાદ આ દિગ્ગજ નેતાના રાજીનામાંની માંગ, વકીલોનું આંદોલન; કોકરોચ જનતા પાર્ટીનો ટેકો

By: Nation Gujarat Team
20 Aug, 2026

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના પ્રમુખ મનન કુમાર મિશ્રા સામે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ઓલ ઇન્ડિયા યંગ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું એલાન કરીને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે. CJPના નેતાઓ દ્વારા પણ આ પ્રદર્શનને સમર્થન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, BCI ચેરમેન દ્વારા નાલસાર (NALSAR) યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેનો ભારે વિરોધ થતાં આખરે તેમણે આ આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

નાલસાર યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહમાં ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવાના પ્રસ્તાવનો પત્ર લખીને વિરોધ કર્યો હતો. આ વિવાદ બાદ BCI ચેરમેન મનન કુમાર મિશ્રાએ આ વર્ષે નાલસાર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનારા કોઈપણ વિદ્યાર્થીને એડવોકેટ તરીકે રજિસ્ટર ન કરવાનો આદેશ આપી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે કાઉન્સિલ આ ઝુંબેશ પાછળ જવાબદાર લોકોની તપાસ કરી રહી છે. જોકે, આ નિર્ણયની વ્યાપક ટીકા થતાં જ કલાકોમાં જ આ આદેશ પાછો ખેંચી લેવાયો હતો.

વિરોધ બાદ BCI ચેરમેને માફી માંગી

વિવાદ વધતાં મનન કુમાર મિશ્રાએ પોતાના નિવેદન દ્વારા દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જો મારા કોઈ શબ્દ કે પત્રથી કાનૂની શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોય તો હું તેના માટે પ્રામાણિકપણે ખેદ વ્યક્ત કરું છું અને માફી માંગુ છું. દિલગીરી વ્યક્ત કરવી એ કોઈ અહંકારનો વિષય નથી, પરંતુ આપણા વિદ્યાર્થીઓની ચિંતાઓ અને ભાવનાઓ આપણા માટે મહત્ત્વ ધરાવે છે તેનો સ્વીકાર છે.’

CJP નેતાઓ અને યુવા વકીલોને આપી સ્પષ્ટતા

મનન કુમાર મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓના હિત માટે જ કામ કરી રહ્યા છે અને જરૂર પડશે તો સીજેપીના નેતાઓ તથા અભિજિત દીપકે સાથે વાતચીત કરવા પણ તૈયાર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કમ્યુનિકેશનમાં ક્યાંક ગેરસમજ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને યુવાનોનું હિત જ BCI માટે સર્વોપરી છે. જે રીતે યુવા વકીલો અને નેતાઓ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માંગે છે, તે જ મુખ્ય હેતુ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો પણ છે.


Related Posts

Load more