અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં ગૌરીવ્રત નિમિત્તે AMC દ્વારા કરવામાં આવેલા તમામ જાહેર આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તકેદારીના ભાગરૂપે શહેરના બે મુખ્ય પ્રવાસન સ્થળો એવા સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટને પણ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
વરસાદી આપત્તિને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ ફાયર કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 7 ઝોન માટે 7 અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય હાથ ધરી શકશે.
વરસાદી માહોલ વચ્ચે શહેરમાં જે વિસ્તારોમાં અગાઉ પાણી ભરાવાના બનાવો બન્યા હતા, તેવા તમામ સંવેદનશીલ સ્થળો પર સતત ચેકિંગ હાથ ધરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો દર 3 કલાકે વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને રાઉન્ડ લેશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) હેઠળ આવતા આસપાસના વિસ્તારો માટે પણ 1 ખાસ ફાયર ટીમ તૈનાત રાખવામાં આવી છે.