અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ અને અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈને ઓટોમોબાઈલ સેક્ટરમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને વાહન તેમજ મિલકતની ખરીદી માટે અત્યંત ઉત્તમ અને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.જેના પગલે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં અંદાજે 177 કરોડની કિંમતના વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ થવાનો અંદાજ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે શોરૂમ માલિકો અને ડીલર્સમાં ભારે ઉત્સાહ છે.
આ શુભ દિવસે અમદાવાદીઓ દ્વારા અગાઉથી જ મોટા પાયે વાહનોનું બુકિંગ કરાવી લેવામાં આવ્યું છે.આંકડાકીય વિગતો મુજબ,રથયાત્રાના આ તહેવાર દરમિયાન શહેરમાં આશરે 7200 જેટલા ટુવ્હીલર અને 1450 જેટલા ફોર વ્હીલર ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવશે.ખાસ વાત એ છે કે,ગત વર્ષના મુકાબલે આ વખતે ટુ-વ્હીલરના વેચાણમાં 31 ટકા અને ફોર વ્હીલર એટલે કે કારના વેચાણમાં 38 ટકાનો જંગી વધારો નોંધાયો છે.જે ઓટોમોબાઈલ બજાર માટે ખૂબ પ્રોત્સાહક સંકેત છે.
કોરોના કાળ અને ત્યારબાદની મંદી બાદ આ વર્ષે રથયાત્રા પર ઓટોમોબાઈલ માર્કેટે નવી ઊંચાઈ સર કરી છે.ડીલર્સના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પોતાના મનપસંદ વાહનની ડિલિવરી રથયાત્રાના દિવસે જ મળે તે માટે એક-બે મહિના અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી રાખતા હોય છે. સવારથી જ શહેરના તમામ અગ્રણી ઓટોમોબાઈલ શોરૂમ્સ પર વાહનોની પૂજા અર્ચના કરવા અને નવી ચમકતી કાર કે બાઇક ઘરે લઈ જવા માટે પરિવારોની ભારે ભીડ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.