BCCI નો મોટો નિર્ણય, ઘરેલુ ક્રિકેટમાં લાગુ કર્યો આ નવો નિયમ

By: Krunal Bhavsar
16 Aug, 2025

BCCI : ભારતીય ક્રિકેટ બોર્ડે એટલે કે BCCI આગામી સ્થાનિક સિઝન માટે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમમાં ટીમોને પ્લેઈંગ 11 માં ખેલાડીને બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જો તેને મેદાન પર ગંભીર ઈજા થાય છે.

નિયમ મલ્ટિ-ડે મેચોમાં લાગુ કરાશે

ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે લાગુ કરાયેલા નવા નિયમમાં જો કોઈ ખેલાડીની બદલી કરવામાં આવે છે, તો તે તે મેચમાં આગળ ભાગ લઈ શકશે નહીં. આ નિયમ મલ્ટિ-ડે મેચોમાં લાગુ કરાશે .

આ કારણે એક નવો નિયમ કરવામાં આવ્યો લાગુ

ટીમ ઈન્ડિયા તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરી છે જેમાં તે 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. આ સિરીઝની ચોથી મેચ દરમિયાન ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે મેચમાં વિકેટકીપિંગ કરી શક્યો ન હતો.આ કારણે ગંભીર ઈજાના કિસ્સામાં મેચ દરમિયાન પ્લેઈંગ 11 માં ખેલાડીને બદલવાનો નિયમ બનાવવાની માગ કરવામાં આવી હતી. હાલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમને ફક્ત કનકશનના કિસ્સામાં જ ખેલાડીને બદલવાની મંજૂરી છે. હવે BCCI એ ઘરેલુ ક્રિકેટમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

વર્કશોપમાં BCCIએ અમ્પાયરોને આપી માહિતી

અમદાવાદમાં BCCIએ અમ્પાયરોના ચાલી રહેલા વર્કશોપમાં ઈજા બદલવાના નિયમ વિશે માહિતી આપી હતી. જેમાં મીડિયા રિપોર્ટ મુજબ BCCI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ નિયમ ફક્ત મલ્ટી-ડે મેચોમાં જ લાગુ પડશે. આમાં મેચ દરમિયાન કોઈપણ ખેલાડીને બદલવાનો નિર્ણય ઓનફિલ્ડ અમ્પાયર અને મેચ રેફરી પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ લઈ શકાય છે.

કેપ્ટનોએ રિપ્લેસમેન્ટ ખેલાડીઓનું લિસ્ટ આપવું પડશે

આમાં કોઈ ખેલાડી બોલ,ફ્રેક્ચર અને ડિસલોકેશનથી ઘાયલ થઈ શકે છે અને ઈજા એવી હોઈ શકે છે કે તે મેચમાં વધુ ભાગ લઈ શકતો નથી. મેચમાં ટોસ સમયે બંને ટીમોના કેપ્ટનોએ રિપ્લેસમેન્ટ ખેલાડીઓનું લિસ્ટ પણ આપવું પડશે જેથી ફક્ત સમાન ભૂમિકા ધરાવતા ખેલાડીને જ પ્લેઈંગ 11 માં સ્થાન મળી શકે.


Related Posts

Load more