ઈરાનના ટોચના શિયા ધર્મગુરુએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ‘ફતવો’, એક ધાર્મિક ફરમાન બહાર પાડ્યો છે, જેમાં તેમને “અલ્લાહના દુશ્મન” ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકરમ શિરાઝીના ફરમાનમાં વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઇસ્લામિક રિપબ્લિકના નેતૃત્વને ધમકી આપનારા અમેરિકન અને ઇઝરાયલી નેતાઓનો નાશ કરવા હાકલ કરવામાં આવી છે.
અલ્લાહના દુશ્મનોનોને પતાવી દઇશું
મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, મકરમે તેમના આદેશમાં કહ્યું હતું કે, “કોઈપણ વ્યક્તિ અથવા શાસન જે નેતા અથવા મરજા (અલ્લાહ) ને ધમકી આપે છે તેને ‘લડાકુ’ અથવા ‘મોહરેબ’ માનવામાં આવે છે.” ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મોહરેબ એવી વ્યક્તિ છે જે ભગવાન સામે યુદ્ધ કરે છે અને ઈરાની કાયદા હેઠળ, મોહરેબ તરીકે ઓળખાતા લોકોને મૃત્યુદંડ, ક્રુસિફિકેશન, અંગવિચ્છેદન અથવા દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
શું કહેવામાં આવ્યુ ફતવામાં
ફતવામાં જણાવાયું છે કે “મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા તે દુશ્મન માટે કોઈપણ સહયોગ અથવા સમર્થન હરામ અથવા પ્રતિબંધિત છે. વિશ્વભરના તમામ મુસ્લિમો માટે આ દુશ્મનોને તેમના શબ્દો અને ભૂલો પર પસ્તાવો કરાવવો જરૂરી છે.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસ્લિમ જે પોતાની મુસ્લિમ ફરજ બજાવે છે તેને તેના અભિયાનમાં મુશ્કેલી કે નુકસાનનો સામનો કરવો પડે છે, તો જો ભગવાન ઈચ્છે તો તેને ભગવાનના માર્ગમાં યોદ્ધા તરીકે પુરસ્કાર આપવામાં આવશે. ફતવામાં વધુમાં જણાવાયું છે કે જે લોકો ઈરાનના સર્વોચ્ચ નેતાને ધમકી આપે છે અથવા તેમની હત્યા કરવાનો પ્રયાસ કરે છે તેઓ અલ્લાહના ક્રોધનો સામનો કરશે અને આવા કૃત્યને માત્ર અલ્લાહના અપમાન તરીકે જ નહીં પરંતુ અલ્લાહ સામેના યુદ્ધ તરીકે પણ જોવામાં આવશે.