‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

By: nationgujarat
26 Mar, 2025

Rahul Gandhi Made A Big Allegation: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મને લોકસભામાં બોલવા નથી દેતા. એક નિયમ છે કે, વિપક્ષના નેતાને બોલવાની તક આપવી પડે છે. પરંતુ હું જ્યારે પણ બોલવા માટે ઊભો થાઉં છું ત્યારે મને બોલવા નથી દેતા. મને નથી ખબર કે આ ગૃહ  કેવી રીતે ચાલી રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અહીં અમે જે બોલવા માગીએ છીએ, તે અમને બોલવા નથી દેતા. મેં કંઈ નથી કર્યું, હું એકદમ શાંતિથી બેઠો હતો. લોકતંત્રમાં સરકાર અને વિપક્ષનું સ્થાન હોય છે પરંતુ અહીં વિપક્ષની કોઈ જગ્યા જ નથી. અહીં માત્ર સરકાર માટે જ સ્થાન છે. તે દિવસે વડાપ્રધાન મોદી કુંભ મેળા અંગે બોલ્યા, જેમાં હું મારી વાત જોડવા માગતો હતો. હું બેરોજગારીના મુદ્દે કંઈક બોલવા માગતો હતો પરંતુ મને બોલવા ન દીધો.’

લોકસભાના અધ્યક્ષે સાંસદોને તેમના આચરણ અંગે સલાહ આપી 

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાના અધ્યક્ષે સાંસદોને તેમના આચરણ અંગે સલાહ આપી છે. હકીકતમાં બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે એક વિચિત્ર અભિવાદન કર્યું હતું. તેના પર સ્પીકરની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં કહ્યું હતું કે, ‘જ્યારે પીએમ ગૃહમાં આવે છે, ત્યારે ભાજપના તમામ સાંસદો ઊભા થઈ જાય છે, આ ગૃહનું અપમાન છે.’

 

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નિવેદન સામે આવ્યું

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ‘તમારી પાસેથી ગૃહમાં આચરણ અને શિષ્ટાચારના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે. મારા ધ્યાનમાં એવા ઘણા કિસ્સાઓ છે, જ્યારે સાંસદોનું આચરણ ગૃહના શિષ્ટાચાર અને પરંપરાઓના ઉચ્ચ ધોરણોના અનુરૂપ નહોતું. પિતા, પુત્રી, માતા, પત્ની અને પતિ આ ગૃહના સભ્યો રહ્યા છે. તેથી આ સંદર્ભમાં હું અપેક્ષા રાખું છું કે વિપક્ષના નેતા નિયમો મુજબ આચરણ કરે. ખાસ કરીને વિપક્ષના નેતા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાનું આચરણ જાળવી રાખે.’


Related Posts

Load more