Gujarat Weather Updates : ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડાઓ અનુસાર નર્મદા જિલ્લામાં આજે વહેલી સવાર એટલે કે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકના ગાળામાં જ 4.65 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ છે.
નર્મદા જિલ્લામાં જળ બંબાકાર
ગાંધીનગરમાં સંચાલિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ અનુસાર સવારથી 82 તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 118 મિ.મી. એટલે કે કુલ 4.65 ઈંચ જ્યારે ગરુડેશ્વરમાં પણ 4.65 ઈંચ જેટલો વરસાદ નોંધાતા પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે નર્મદાના નાંદોદ, તિલકવાડામાં પણ અનુક્રમે 3.54 અને 3.15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે પહેલાથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થતો હતો.
બીજી બાજુ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ 2.64 ઈંચ તો આણંદમાં 2.20 ઈંચ જેટલી મેઘમહેર નોંધાતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર ડુંગર વિસ્તાર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ધોધમાર વરસાદના પગલે પાવાગઢના પગથિયાં પર પાણીની ધારા વહેતી જોવા મળી હતી, જેના કારણે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં તંત્ર સતર્ક બન્યું હતું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.