Shiv Puja For Manglik Dosh: મહાદેવની આરાધના ઉપાસના કરવાથી જીવનના સંકટનો નાશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં જે મોટામાં મોટા દોષ હોય તેનું નિવારણ પણ શિવજીની કૃપાથી થઈ શકે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ કેવલ ભોળાનાથનું પ્રતિક નથી પરંતુ શિવલિંગ શિવ પરિવારને દર્શાવે છે. શિવલિંગમાં મહાદેવ તો હોય જ છે તેમની સાથે માં પાર્વતીથી લઈને ભગવાન શિવના પુત્ર અને પુત્રી પણ બિરાજમાન હોય છે. લોકો આ વાત જાણતા જ નથી. શિવલિંગમાં મહાદેવની સાથે માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય અને પુત્રી અશોક સુંદરી પણ બિરાજે છે.
માન્યતા છે કે શિવલિંગનો અભિષેક કરી અલગ અલગ સ્થાને સ્પર્શ કરવાથી ગ્રહ દોષ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને શિવલિંગના ત્રણ વિશેષ સ્થાન વિશે જણાવીએ જેનો સ્પર્શ શિવલિંગ પર અભિષેક કરી કરવામાં આવે તો માંગલિક દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ 3 જગ્યાઓ કઈ છે જેને સ્પર્શ કરવાથી લાભ થાય.
પહેલું સ્થાન
શિવલિંગને સ્પર્શ કરવાનું સૌથી પહેલું સ્થાન જલાધારીની આગળની તરફનો ભાગ હોય છે. જે પગ જેવો દેખાય છે. અહીં ભોળાનાથ ના પુત્ર કાર્તિકેય અને ભગવાન ગણેશ બિરાજમાન હોય છે. અભિષેક કર્યા પછી આ સ્થાનને આદરપૂર્વક સ્પર્શ કરો અને પાંચથી સાત વખત દબાવો. ત્યારપછી જમણો હાથ પોતાના પેટ પર લગાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી આ કામ કરે તો સંતાનની સુરક્ષા થાય છે અને સંતાન નિરોગી રહે છે.
બીજું સ્થાન
શિવપુરાણ અનુસાર શિવલિંગને સ્પર્શ કરવાનું બીજું સ્થાન છે જે જગ્યાએથી જળ પ્રવાહિત થતું હોય. શિવલિંગ પર અભિષેક કરો ત્યારે જલાધારીની વચ્ચેના સ્થાનમાંથી જલ પસાર થાય છે. જલાધારીના વચ્ચેના સ્થાનમાં શિવજીની પુત્રી અશોક સુંદરીનું સ્થાન હોય છે આ જગ્યાએ બીલીપત્ર સ્પર્શ કરી શિવલિંગ પર અર્પણ કરી દો. સાથે જ શિવ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વૈવાહિક જીવનમાં આવતી સમસ્યા કે વિવાહ નક્કી થવામાં આવતી સમસ્યા દૂર થાય છે. આ ઉપાય માંગલિક દોષને પણ દૂર કરનાર છે.
ત્રીજું સ્થાન
શિવલિંગને સ્પર્શ કરવાનું ત્રીજું સ્થાન છે જલાધારીની પાછળનો ગોળ ભાગ જે માં પાર્વતીના હસ્તકમલ છે. પોતાના હાથથી આ સ્થાનનો સ્પર્શ કરવાથી સ્વાસ્થ્ય લાભના આશીર્વાદ મળે છે. જલાભિષેક કરતી વખતે શિવ મંત્રનો જાપ કરો અને આ સ્થાનને સ્પર્શ કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ગંભીર બીમારીઓ પણ દૂર કરવાનો રસ્તો મળી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. nationgujarat તેની પુષ્ટિ કરતું નથી.)