અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો વિરોધ અને વિવાદ વચ્ચે શાળાનું શૈક્ષણિક કાર્ય હજુ પણ બંધ છે. મળતી માહિતી મુજબ, 11 ઓગસ્ટથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે અને આજે પણ શાળામાં નિયમિત શૈક્ષણિક કામગીરી શરૂ થઈ નથી.
શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ
વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શાળામાં આપવામાં આવતા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવવાના મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વાલીઓની જવાબદારો સામે કાર્યવાહીની માંગ
આ ગંભીર ઘટનાને લઈને વાલીઓ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, વાલીઓના આક્ષેપ મુજબ, અત્યાર સુધી આ મામલે કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત, વાલીઓની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા માટે શાળા દ્વારા કોઈ અલગ ફરિયાદ નિવારણ કમિટી પણ બનાવવામાં આવી નથી.
વાલીઓનું કહેવું છે કે બાળકોની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા જેવા ગંભીર મુદ્દે શાળા તંત્રએ સ્પષ્ટ જવાબદારી નક્કી કરી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. શાળા તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા અને આગામી શૈક્ષણિક કામગીરી અંગેની માહિતીની રાહ જોવાઈ રહી છે.