પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને પુનરુત્થાનનું પ્રતીક છે. વર્ષ 2026 સોમનાથ મંદિર સાથે સંકળાયેલી બે અત્યંત મહત્વની ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરેલા આક્રમણને 1000 વર્ષ થયા છે. જ્યારે મંદિરના જીર્ણોદ્ધાર (પ્રાણ પ્રતિષ્ઠા – 11 મે 1951)ને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આ ઐતિહાસિક પળોના સાક્ષી બનશે અને હાજરી આપશે. પહેલાં તેઓ 72 કલાકના ઓમકાર મંત્ર જાપના સમાપન સમારોહમાં ભાગ લેશે. બાદમાં રાત્રે 3 હજાર ડ્રોનથી યોજાનારા ડ્રોન શોને નિહાળશે.
વડાપ્રધાન સોમનાથમાં બે દિવસના મહેમાન ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ પર કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સાથે જ આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયેલા મંદિરના જીર્ણોદ્ધાર (પ્રાણ પ્રતિષ્ઠા – 11 મે 1951) ને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈને ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી 10 અને 11 જાન્યુઆરી બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્ર અને મંદિર પરિસરને દિવ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. ઐતિહાસિક ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે. આ આગમનને પગલે સમગ્ર સોમનાથ નગર અને દરિયાકિનારો ભક્તિમય વાતાવરણમાં ડૂબી ગયો છે.
સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠકમાં હાજરી આપશે વિકાસ કાર્યો અંગે ટ્રસ્ટની બેઠક હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં મંદિરના વહીવટી સંચાલન, યાત્રિકો માટેની અત્યાધુનિક સુવિધાઓ અને આગામી સમયના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે ગહન ચર્ચા કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર દ્વારા આ મુલાકાતને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આકાશમાં ઈતિહાસ સર્જાશે 3000 ડ્રોન દ્વારા આકાશમાં રચાશે ઈતિહાસ આજના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર સાંજે યોજાનારો ભવ્ય ડ્રોન શો છે. દેશમાં પ્રથમ વખત સોમનાથના આંગણે 3000 ડ્રોનના માધ્યમથી ‘સોમનાથ ગાથા’ રજૂ કરવામાં આવશે. આ શો દ્વારા સોમનાથ મંદિરનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ, મંદિર પર થયેલા આક્રમણો, ત્યારબાદનું પુનર્નિર્માણ અને ભારતની અડગ આસ્થાને આકાશમાં જીવંત કરવામાં આવશે. આકાશમાં ડ્રોન દ્વારા મહાદેવનું ત્રિશૂલ, ડમરુ, ઓમકાર અને મંદિરની ભવ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે, જે ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ સાબિત થશે.
72 કલાકના અખંડ ઓમકાર જાપથી શિવાલય ગુંજી ઉઠ્યું પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત 72 કલાકના અખંડ ઓમકાર જાપનો 8મીએ ભવ્ય પ્રારંભ થયો. પર્વની શરૂઆત શંખનાદ, ડમરુના નાદ અને ઓમકારના ગુંજારવ સાથે કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વયં શંખનાદ કરી આ પર્વની ઔપચારિક શરૂઆત કરાવી હતી. ગુજરાતભરના 2,500 જેટલા ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક સુધી અખંડ ઓમકાર મંત્રોચ્ચાર. સોમનાથ મંદિરની સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત સહિત દેશના અન્ય મહત્વના શિવાલયોમાં પણ આ પર્વ અંતર્ગત ઓમકાર જાપનું આયોજન છે. દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ પણ આ નાદમાં ભાવપૂર્વક જોડાયા હતા.
બીજા દિવસે ડમરું યાત્રા અને રવાડી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ધરા પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો. રવાડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું. સોમનાથમાં જાણે જૂનાગઢના શિવરાત્રી મેળા જેવો માહોલ સર્જાયો હોય તેમ લાગતું હતું.
દિગમ્બર સાધુઓએ તલવારબાજી સહિત વિવિધ અંગકસરતના દાવ દ્વારા શિસ્ત, આત્મવિશ્વાસ અને શૌર્યકલા પ્રત્યેની નિપુણતા પ્રગટ કરી હતી. દિગમ્બર સાધુઓના આ શૌર્યપ્રદર્શનથી દર્શકોમાં વિશેષ કૌતુક અને આશ્ચર્ય જોવા મળ્યું. તેમના આત્મવિશ્વાસભર્યા કરતબોને જયઘોષ અને તાળીઓથી વધાવવામાં આવ્યા હતા, જેનાથી માહોલ ઉત્સાહપૂર્ણ બન્યો હતો.
સોમનાથના પાવન પ્રભાસક્ષેત્રમાં ચાલી રહેલા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને કારણે સમગ્ર સોમનાથ નગર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સોમનાથમાં ભવનાથ જેવું વાતાવરણ સર્જાયું હતું.
સાધુ-સંતો અને મહંતો પરંપરાગત વેશભૂષામાં જોડાયા આ ડમરું યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી સર્કલ થઈને સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. લગભગ એક કિલોમીટર લાંબી આ ભવ્ય યાત્રામાં દેશભરના વિવિધ અખાડાના સાધુ-સંતો અને મહંતો પરંપરાગત વેશભૂષામાં ડમરુંના તાલે જોડાયા હતા.
10 જાન્યુઆરીના કાર્યક્રમ સાંજે 8:00 વાગ્યે પીએમ મોદીનું આગમન પીએમ મોદી 72 કલાકના ઓમકાર મંત્ર જાપના સમાપન સમારોહમાં ભાગ લેશે પીએમ મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે
11 જાન્યુઆરીના કાર્યક્રમ સવારે 9:45 વાગ્યે પીએમ મોદી શૌર્ય યાત્રામાં ભાગ લેશે 10:15 વાગ્યે પીએમ મોદી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે 11:00 વાગ્યે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે