ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા

By: nationgujarat
09 Oct, 2025

Dahod News: દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હકીકતમાં નગરપાલિકામાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અપક્ષના આઠ સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

અપક્ષ સભ્યોનો આરોપ

અપક્ષ સભ્યોએ આરોપ લગાવ્યો છે કે, દેવગઢ બારીઆમાં પાયાની પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી, સફાઈ અને રસ્તાનો કામો સમયસર નથી થતા. જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાયાની સુવિધાઓ ન મળતા વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસર સમક્ષ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, ધર્મેશ કલાલે વિપક્ષના આરોપોને નકારી દીધા છે અને કહ્યું કે, કેટલાક સભ્યોના ગેરવાજબી અને નિયમ વિરૂદ્ધના કામો ન થતા હોવાના કારણે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

15 દિવસમાં સભા બોલાવવાનો ચીફ ઓફિસરનો આદેશ

સમગ્ર બાબતે ચીફ ઓફિસર વૈશાલી નીનામાએ જણાવ્યું કે, બુધવારે સાંજે 7-8 લોકો દ્વારા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે પ્રમુખને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે. જોકે, આ મુદ્દે પ્રમુખે અવિશ્વાસની દરખાસ્તમાં અમુક સભ્યોની સહી પર અસંમતિ દર્શાવી છે. આ મુદ્દે પ્રમુખ દ્વારા અમને લેટર આપવામાં આવ્યો છે, જેને લઈને અમે તપાસ હાથ ધરી છે. હાલ પ્રમુખને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો પંદર દિવસમાં સભા બોલાવી તે સભ્યોના મત જીતશે તો પોતાના પદ પર જળવાઈ રહેશે.

શું છે અવિશ્વાસના પ્રસ્તાવના નિયમો? 

પાલિકાના નિયમો અનુસાર, આ દરખાસ્ત પસાર કરવા માટે કુલ સભ્યોના બે-તૃતીયાંશ (2/3) સભ્યોનું સમર્થન મેળવવું ફરજિયાત છે. ચીફ ઓફિસર દ્વારા આગામી 15 દિવસમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે વિશેષ સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને જાણ કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે ભાજપની આંતરિક એકતા અને અપક્ષ સભ્યોના વલણની કસોટી કરશે.

ધર્મેશ કલાલે કર્યો સ્વબચાવ

પોતાના પર લાગેલા આરોપો પર પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે કહ્યું કે, ‘અપક્ષ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને તેમાં દર્શાવેલા કારણો તમામ પાયાવિહોણા છે. તેમાં કોઈ જ તથ્ય નથી અને મારી પાસે બધા પુરાવા રેકોર્ડમાં છે. કારણ કે, સામાન્ય સભા પહેલાં દિવસથી જ વીડિયોગ્રાફીથી યોજવામાં આવી છે, જે પુરાવો છે કે મેં કોઈ જગ્યાએ મારી મનમાની નથી કરી. આ અવિશ્વાસની દરખાસ્તનો પર્દાફાશ હું ટૂંક સમયમાં કરીશ. મારા પર અમુક લોકો દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેનો હું ખુલાસો કરીશ. જો મને કોઈ દબાણ કરીને પરેશાન કરવા ઈચ્છે છે તો હું તેમનાથી નથી ડરતો અને આવી ધમકીથી હું ડરીશ પણ નહીં.’


Related Posts

Load more