ચૂંટણીલક્ષી ફરિયાદો માટે કંટ્રોલરૂમ તૈયાર કરાયો જેમા ફરિયાદોને બદલે એલપીજી ગેસના બાટલા માટે પૂછપરછ કોલ વધુ

By: Nation Gujarat Team
07 Apr, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આયોગના આદેશ-જોગવાઈઓ મુજબ દરેક જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીના મોનિટરિંગમાં કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવતો હોય છે. જેમાં લોકો ચૂંટણી લક્ષી ફરિયાદો કરી શકતા હોય છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જ્યાં બાટલાની બૂમરાણ છે. ત્યારે કેટલાક લોકો ચૂંટણીના કંટ્રોલરૂમમાં બાટલાની ફરિયાદો કરે છે અને પૂછપરછ કરે છે.

કંટ્રોલરૂમ તો કમ્પ્લેઇન્ટ રૂમ બન્યો

ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવતા જિલ્લાઓના અધિકારીઓ-તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરાવવા માટે ટીમો પણ કામે લાગી છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી ફરિયાદો માટે કંટ્રોલરૂમ પણ તૈયાર કરાયો છે. પરંતુ જિલ્લાના આ ઈલેકશન કંટ્રોલરૂમમાં આચાર સંહિતા ભંગની કે અન્ય ચૂંટણીલક્ષી ફરિયાદોને બદલે એલપીજી ગેસના બાટલા માટે પૂછપરછ-ફરિયાદો આવી રહ્યા છે. રોજ આવતા કુલ ફોનમાં બેથી ત્રણ ફોન બાટલા માટે આવે છે.

જેમાં લોકો પૂછે છે કે બાટલો ક્યાંથી મળશે, નવો બાટલો લેવા ક્યાં જવું? બુકિંગ છતાં ડિલિવરી કેમ નથી મળતી, ક્યારે બાટલો ક્યાંથી બૂક થાય અને કેટલાક દિવસે થાય વગેરે જેવા પ્રશ્નો આવે છે. જો કે હાલ ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષના નેતાઓ તો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને પ્રજાના પ્રશ્નો સાંભળનાર કોઈ નથી ત્યારે પ્રજાએ પણ પોતાના પ્રશ્નો માટે આ રીતે અન્ય માર્ગ અપનાવવો પડે છે. આ ઉપરાંત વખતની ચૂંટણીમાં તંત્ર માટે પણ મુશ્કેલી છે કારણકે ચૂંટણીની તૈયારીઓ ટૂંકા ગાળામાં કરવાની છે અને બીજી બાજુ પ્રજા લક્ષી પ્રશ્નો પણ ઉકેલવાના છે.


Related Posts

Load more