Ahmedabad News: શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઈની બદલીનો ગંજીફો આખરે ચીપાયો છે. અમદાવાદમાં કુલ 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 55 PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
વહીવટદારોની કફોડી સ્થિતિ
આ વખતની બદલી પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ રહી છે કે, કમિશનર ઓફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે વચેટિયાઓ અને વગદાર રાજકીય નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી.
ટ્રેક રેકોર્ડ અને CR જોઈને અપાયા પોસ્ટિંગ
પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ અગાઉ કેવી કામગીરી કરી છે તે જોવામાં આવ્યું. ઉપરાંત અત્યાર સુધી મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની વર્તણૂંક ધ્યાને લેવાઈ હતી. અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ચેક કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ અપાયા છે.
વિવાદિત અધિકારીઓને સાઇડ પોસ્ટિંગ
જે અધિકારીઓ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય, તેમને મહત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્વના પોલીસ મથકો જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઈથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
વચેટિયાઓની ભૂમિકા ખતમ
સામાન્ય રીતે એવું જોવા મળતું કે, વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં મુકાવતા અને પછી PI એ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આ પ્રથાને કારણે પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ હવે યોગ્યતા મુજબ પોસ્ટિંગ મળતા પ્રમાણિક અધિકારીઓમાં ખુશીનો માહોલ છે.