અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બનવા માટે અત્યારથી ખેંચતાણ શરૂ

By: nationgujarat
24 Aug, 2023

અમદાવાદ : ગુજરાતમાં 8500 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બનવા માટે અત્યારથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મનપામાં આ વર્ષે મેયર પદ મહિલા અનામત હોવાથી ભાજપના અલગ અલગ ગ્રૂપોએ પોતાના સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ મનપા એ રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા છે. જેના મેયરના પદની મુદત પૂર્ણ થઈ રહી છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. અમદાવાદ મનપાના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદની લોટરી લાગી છે. જેમાં 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલને ફાળામાં મેયર પદ ગયું હતું. ગુજરાતની સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ માટે રસાકસી જામી છે.

અમદાવાદના મેયરના પદે અત્યાર સુધી ભાજપમાં ખાસ છેડા ધરાવતાને જ લોટરી લાગી છે, છતાં કેટલાક મહિલા ઉમેદવારોએ લોબિંગ શરૂ કરી દીધું છે. આ મહિલા કોર્પોરેટરના ગોડફાધરો સંગઠન અને સરકારમાં ભલામણો કરી રહ્યાં છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 હોદ્દેદારોની મુદ્દત 9 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. તે જ દિવસે AMCની સામાન્ય સભાની બેઠક મળશે. જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂક કરવામાં આવશે. જો કે  ભાજપ પાસે બહુમતી હોવાથી મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નક્કી જ છે. અમદાવાદના મેયર કોણ બનશે એ નક્કી કરવાનું ભાજપ સંગઠનના હાથમાં હોવાથી જૂથવાદ વધુ વકરે તેવી સંભાવના પણ છે. કારણ કે અમદાવાદના મેયર કોણ બનશે એ ભાજપના તમામ જૂથોને રસ છે.

વર્ષ 2021 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્ય પક્ષના 7 કોર્પોરેટર જીત્યા હતા. તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળે અમદાવાદના મેયર તરીકે ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી કરી હતી. જ્યારે OBC ક્વોટામાંથી થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપુતને હિન્દીભાષી સમાજને ધ્યાને રાખી દંડકની પોસ્ટ આપી હતી.

નારણપુરાના મહિલા કોર્પોરેટર ગીતાબહેન પટેલને ડેપ્યુટી મેયર તરીકે નિમવામાં આવ્યા હતા. સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટને પક્ષના નેતાના પદે મૂકાયા હતા. જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત હોવાના લીધે 9 સપ્ટેમ્બરના રોજ મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થશે. જેથી મેયર કિરીટ પરમારની જગ્યાએ નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે. જેઓ આગામી અઢી વર્ષ સુધી અમદાવાદની કમાન સંભાળશે. ત્યારે નવા મેયર માટે હાલ ભાજપમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. વિવિધ કોર્પોરેટરો પોતાના રાજકીય ગોડફાધરો પાસે જઇને પોતાને હોદ્દો મળે એ માટે દોડધામ કરી રહ્યા છે.

અમદાવાદના મેયર પદ માટે હાલમાં શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ સૌથી આગળ છે. તો ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને ફરી રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે પાલિકાના મલાઈદાર પદ સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેન બનવા માટે કેટલાક કોર્પોરેટરો લોબિંગ શરૂ કરી દીધું છે.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જો વર્તમાન સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નહીં બદલાય તો મહિલા મેયરના પદે પાટીદાર કે જૈન/વણિક સમાજમાંથી આવતા મહિલા કોર્પોરેટરની નિમણૂંક થાય તેવી સંભાવના છે. જૈન સમાજમાંથી આવતા શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અને મણીનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગા પણ રેસમાં આગળ છે. આ સિવાય અન્ય પાટીદાર મહિલા કોર્પોરેટર પણ આવી શકે તેમ છે. પાટીદાર સમાજમાંથી વર્તમાન ડેપ્યુટી મેયર ગીતા પટેલ, લાંભા વોર્ડના ડો. ચાંદની પટેલ પણ રેસમાં છે. આ સિવાય ક્ષત્રીય સમાજમાંથી વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ રેસમાં છે


Related Posts

Load more