BAPS – ન્યૂજર્સીના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણની ચરમસીમારૂપ ઐતિહાસિક કળશ-પૂજનવિધિ સંપન્ન

By: nationgujarat
02 Sep, 2023

30 ઓગસ્ટ, 2023ની સવારે, રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં બી એ પી એસ સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણનું ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત થયું હતું. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રૉબિન્સવિલમાં રક્ષાબંધનના શુભ દિને અક્ષરધામના કળશપૂજનનો મહત્વનો પ્રસંગ ઉજવાયો હતો.  અનેક વર્ષોથી અક્ષરધામ નિર્માણમાં રત એવા હજારો સ્વયંસેવકોના અવિરત પરિશ્રમ, અનન્ય સમર્પણ અને નિ:સ્વાર્થ સેવાની ફળશ્રુતિરૂપ આ પ્રસંગે ઉપસ્થિત સૌ સ્વયંસેવકો ભાવવિભોર થઈ ઉઠયા હતા. સમગ પરિસર હજારો સંતો-ભક્તો-સ્વયંસેવકોના આનંદ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું.

છેલ્લાં 12 વર્ષમાં અક્ષરધામના નિર્માણમાં સામૂહિક રીતે કરોડો માનવ કલાકોની ભક્તિપૂર્ણ સેવા કરનાર આ સ્વયંસેવકો માટે, આ પ્રસંગ એટલા માટે પણ વિશિષ્ટ બની રહ્યો કે શાંતિ અને જીવનઘડતરની દિવ્ય પ્રેરણાઓ આપતા આ અક્ષરધામના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ પણ સાકાર થઈ રહ્યો હતો. પૂર્ણતાના આરે આવીને ઉભેલું આ અક્ષરધામ સમગ્ર પશ્ચિમી જગતમાં હિન્દુ કળા, સ્થાપત્ય, અને સંસ્કૃતિના એક ગૌરવશિખર તરીકે ઊભું રહેશે.

પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યમાં કળશ અતિ મહત્વનું અંગ છે. કળશ અમૃતનું પ્રતીકાત્મક રૂપ છે, જેનું ખૂબ ધાર્મિક માહાત્મ્ય છે. અક્ષરધામના પાયામાં સ્થાપિત ‘નિધિ કુંભ’નું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે શિખરનું પ્રતિનિધત્વ કરતા  ‘અમૃત કળશ’નું પૂજન કરવામાં આવ્યું હતું. કળશ એક દિવ્ય ‘એન્ટેના’ નું કાર્ય કરે છે, જે આસપાસ વ્યાપ્ત દિવ્યતાને શિખરમાંથી ગર્ભગૃહમાં સ્થિત મૂર્તિઓ સુધી પ્રવાહિત કરે છે. આધ્યાત્મિક ઊર્જાથી આંદોલિત વાતાવરણમાં કુલ 18 કળશનો પૂજન વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયો હતો.

બી એ પી એસ સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું,

“ કળશને મહત્વનું ગણવામાં આવે છે, કારણકે શિખર પર તેના સ્થાપન સાથે શિખર સંપૂર્ણ થયેલું ગણાય છે. કળશથી શોભતા શિખરની શોભા અનેરી છે અને આપણને ખૂબ આનંદથી ભરી દે છે. “ સ્વયંસેવકોની નિ:સ્વાર્થ સેવાને બિરદાવતા તેમણે કહ્યું, “સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તોએ રાત-દિવસ, ભક્તિ અને શ્રદ્ધાથી અહીં કાર્ય કર્યું છે.”

 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું,

“અક્ષરધામના શિખર પરના કળશ સઘળા પ્રયત્નોની દિવ્ય ફળશ્રુતિ સમાન છે. આજે આપણે જ્યારે રક્ષાબંધન ઉજવી રહ્યા છે ત્યારે અનુસંધાન રાખવું કે ભગવાન સ્વામિનારાયણ આપણી રક્ષામાં છે.”

 

શાંતિ, એકતા અને નિ:સ્વાર્થ સેવાની આહલેક જગાવતું અક્ષરધામ, સૌ કોઈને કોઈ પ્રકારના ભેદભાવ વગર એક બીજા સાથે સંવાદિતા સાધવા અને પરમાત્મામાં જોડાવાની પ્રેરણા આપે છે. તાજેતરમાં આચાર્ય ઇશાન શિવાનંદે અક્ષરધામ નિહાળ્યા બાદ પોતાની અનુભૂતિ વર્ણવતાં કહ્યું, “ જેવી રીતે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તે રીતે આપણને જીવનમાં કેન્દ્રસ્થાનની જરૂર છે. અક્ષરધામ એક એવું કેન્દ્રબિંદુ છે, જે આપણી આસ્થા, સંસ્કૃતિ અને લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હું અહીં જોઈ રહ્યો છું કે આધ્યાત્મિક કૃપાના આવા સ્થાનમાં સઘળા ધર્મો અને વિવિધ સંપ્રદાયોના લોકો પ્રેરણા મેળવી રહ્યા છે.”


Related Posts

Load more