સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર, 26 વર્ષ જૂનો નિર્ણય બદલાવ્યો

By: nationgujarat
04 Mar, 2024

સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા મત માટે લાંચ લેવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો ચુકાદો પલટ્યો છે. ખંડપીઠે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ સાંસદો અને ધારાસભ્યોને કેસથી છૂટ આપી શકાય નહીં.

CJIએ કહ્યું કે અમે પીવી નરસિમ્હાના નિર્ણય સાથે સહમત નથી જેમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા વોટ માટે લાંચ લેવા માટે કાર્યવાહીમાંથી છૂટ આપવામાં આવી હતી. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કેસ ચલાવી શકાતો નથી.

CJIએ કહ્યું- જો કોઈ લાંચ લે છે તો કેસ થાય છે. તેણે વોટ આપ્યો કે પછી ભાષણ આપ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે સાંસદ લાંચ લે છે ત્યારે જ આરોપ લાગે છે. અમારું માનવું છે કે લાંચ લેવાની બાબતને સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય નહીં.

CJIએ કહ્યું- જો કોઈ સાંસદ ભ્રષ્ટાચાર અને લાંચ લે છે તો આ બાબતો ભારતની સંસદીય લોકશાહીને બરબાદ કરી દેશે. કલમ 105/194 હેઠળ આપવામાં આવેલ વિશેષાધિકારનો હેતુ સાંસદ માટે ગૃહમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે. જો કોઈ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે લાંચ લેશે તો તેને પણ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાનો સામનો કરવો પડશે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, એમએમ સુંદરેશ, પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, સંજય કુમાર અને મનોજ મિશ્રાની સાત જજોની બેંચ આ કેસની સુનાવણી કરી હતી.

સાત જજોની બેન્ચે 1998ના ચુકાદા પર પુનર્વિચારણા અંગે 5 ઓક્ટોબર, 2023 માટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. JMM લાંચ કૌભાંડના 25 વર્ષ પછી, SC નિર્ણય પર ફરી વિચાર કરી રહી છે.

કેન્દ્ર સરકારની દલીલ – લાંચના કેસમાં કાર્યવાહીથી છૂટનો વિષય નથી ઑક્ટોબરમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે લાંચ ક્યારેય પણ કાર્યવાહીથી છૂટનો વિષય ન હોઈ શકે. સંસદીય વિશેષાધિકારનો અર્થ એ નથી કે કોઈપણ સાંસદ કે ધારાસભ્યને કાયદાથી બહાર રાખો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંસદમાં અપમાનજનક નિવેદનો આપવાને ગુનો ગણવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી મુક્તિ આપવામાં ન આવે જેથી કરીને ગુનાહિત ષડયંત્ર હેઠળ આવું કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની અંદર કંઈપણ બોલવા પર સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં. સંસદ અને વિધાનસભાના સભ્યોને ગૃહમાં બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે.

સીતા સોરેન પર રાજ્યસભામાં વોટના બદલામાં લાંચ લેવાનો આરોપ
ખરેખરમાં સીતા સોરેન પર 2012માં રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. સીતા સોરેને તેમના બચાવમાં દલીલ કરી હતી કે તેમને બંધારણના અનુચ્છેદ 194(2) હેઠળ ગૃહમાં ‘કંઈપણ કહેવા અથવા મત આપવા’ માટેની છૂટછાટ મળેલી છે.

વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટમાં સીતા સોરેનનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે હાલમાં જ લોકસભામાં બીએસપીના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ભાજપના સાંસદ રમેશ બિધુરીના અપમાનજનક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વોટ અથવા ભાષણ સંબંધિત કોઈપણ બાબત માટે કાર્યવાહીથી મુક્તિ, પછી ભલે તે લાંચ કે ષડયંત્ર હોય, સંપૂર્ણ રીતે હોવી જોઈએ.

સીતા સોરેન કેસનો ગૃહની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી
જોકે, એટર્ની જનરલ આર વેંકટરામણીએ સીતા સોરેનના કેસને અન્ય કેસ કરતા અલગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનનો ગૃહની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી. તેથી, રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે લાંચ લેવા સામે સીતા સોરેનનો ​​​​​​કેસ કાયદાકીય દાયરામાં આવે છે.

સોલિસિટર જનરલની દલીલ – વોટ માટે લાંચ લેવી એ ગૃહની બહારનો મામલો છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કલમ 105(2) અને 194(2) હેઠળ લાંચને ક્યારેય મુક્તિ આપી શકાતી નથી. જો ગુનો સંસદ અથવા વિધાનસભામાં ભાષણ અથવા મતદાન સાથે સંબંધિત હોય તો પણ તે ગૃહની બહાર કાર્યવાહી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે બે દિવસની કાર્યવાહી બાદ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.


Related Posts

Load more