શું ઓગસ્ટમાં રેપો રેટમાં ઘટાડો થશે ?, RBI લઈ શકે છે મોટો નિર્ણય

By: Krunal Bhavsar
02 Aug, 2025

Repo Rate : રેપોરેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને લોનનો ઈએમઆઈ ચૂકવતા લોકોને રાહત મળી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 5થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. આ વખતે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (BPS)નો ઘટાડો જાહેર કરવામાં આવી શકે છે. જો રેપો રેટ ઘટશે તો લોકોને દિવાળીની મોટી ભેટ મળી શકે છે. રેપો રેટ ઘટશે તો લોન અને EMI સસ્તા થશે.

લોનની માગમાં થશે વધારો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2017માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યા પછી બેન્કોએ તે વર્ષે દિવાળી સુધી 1956 અબજ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી લગભગ 30 ટકા પર્સનલ લોન હતી. દિવાળી દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક છે, જેના પર લોકો ખૂબ ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં દિવાળી પહેલા ઓછો વ્યાજ દર લોનની માગમાં સુધારો કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે તહેવારોની સિઝન દરમિયાન જ્યારે પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે, ત્યારે લોનની માગ મજબૂત બને છે.

રેપો રેટ ઘટાડાની શું છે સ્થિતિ?

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3 વખત રેપો રેટમાં ફેરફાર કર્યો છે. રેપો રેટ ફુગાવાને નિયંત્રિત કરે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને લોન આપે છે. ફેબ્રુઆરી 2025માં રિઝર્વ બેન્કે રેપો રેટ 6.50%થી ઘટાડીને 6.25% (25 બેસિસ પોઈન્ટનો ઘટાડો) કર્યો. આ પછી, એપ્રિલ 2025માં રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% (25 બેસિસ પોઈન્ટનો ઘટાડો) કરવામાં આવ્યો. આ પછી જૂન 2025માં રેપો રેટ 6%થી ઘટાડીને 5.50% (50 બેસિસ પોઈન્ટનો ઘટાડો) કરવામાં આવ્યો. 2 ઓગસ્ટ, 2025 સુધી વર્તમાન રેપો રેટ 5.50% છે અને રિવર્સ રેપો રેટ 3.35% છે.

રેપો રેટમાં ઘટાડાની લોકો પણ શું થશે અસર ?

રેપો રેટમાં ઘટાડો થવાથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી EMI ઘટશે. ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી વળતર ઘટશે. સસ્તી લોનથી ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારો થશે, જે GDP વૃદ્ધિમાં મદદ કરશે, જે 2025-26 માટે 6.5% રહેવાનો અંદાજ છે. રેપો રેટમાં ઘટાડો થવાથી બેન્કોની ધિરાણ ક્ષમતામાં વધારો થશે, જેનો ફાયદો MSMEsને થશે. ઓછા વ્યાજ દર બેન્કોના માર્જિનને અસર કરી શકે છે.


Related Posts

Load more