કુમકુમ મંદિર ખાતે વિશ્વ પુસ્તક દિને – પુસ્તકો – ગ્રંથોનું પૂજન કરવામાં આવ્યું

By: nationgujarat
23 Apr, 2025

તા. ર૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિન હોવાથી આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સત્સંગ સભામાં યુવાનોને ઉદ્દેશીને આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પુસ્તક અને શાસ્ત્રોનું મહત્વ એ વિષય ઉપર પ્રવચન આપ્યા હતાં.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણને પ્રશ્ન થશે કે જીવનમાં પુસ્તકો અને શાસ્ત્રોનું શું મહત્ત્વ છે ? તો આજના જમાનામાં કોમ્પ્યુટર, ટી.વી., ફ્રીજ, એરકંડીશન વગેરે સાધનો કેમ વાપરવાં તે માટે તેની માર્ગદર્શન આપનારી માર્ગદર્શિકાની પુસ્તિકા કે પેમ્પ્લેટ જેમ આવશ્યક છે અને તે વિના ગમે તેમ તેનો ઉપયોગ કરવામાં આવે તો તે કિંમતી સાધનો બગડી જાય છે. તેમ અતિ દુર્લભ એવું આ માનવ શરીર કેમ વાપરવું તેની માર્ગદર્શિકા તો અવશ્ય જોઈએ જ અને તે માર્ગદર્શિકા એટલે જ આપણાં પુસ્તકો અને શાસ્ત્રો. આમ, શાસ્ત્રો એ અતિ અનિવાર્ય છે. દીપ જેમ અંધકારને દૂર કરે છે. તેમ પુસ્તકો અને શાસ્ત્રો આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે. આપણા દોષોને દૂર કરે છે. તેથી આપણે નિત્ય પ્રત્યે સત્શાસ્ત્રોનું પઠન પાઠન અવશ્ય કરવું જ જોઈએ.

તા. ૨૩ એપ્રિલના રોજ ઈ.સ. ૧૯૯૫થી સમગ્ર વિશ્વમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે પણ આ દિવસે પુસ્તક દિનની ઉજવણી અવશ્ય કરવી જોઈએ.

નિત્ય પુસ્તકોના વાંચનથી માનસિક તણાવ દૂર થાય છે. આપણી યાદશક્તિ વધે છે, હતાશામાંથી આપણે બહાર આવી શકીએ છે અને પોઝીટીવ વિચારધારા પ્રાપ્ત થવાના કારણે આપણામાં સાહસનો ગુણ ખીલી ઉઠે છે.

મુકેશ અંબાણી, ઈલોન મસ્ક, વોરન બફેટ, અબ્રાહ્મ લિંકન, ગાંધીજી આદિ મહાપુરુષો પણ નિત્ય પુસ્તકો વાંચતા હતા જેના કારણે તે આજે સફળ થયા છે.

કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ ૧૦૦ વર્ષની ઉંમરે પણ નિત્ય છ કલાક સુધી જીવનપ્રાણ બાપાશ્રી અને વચનામૃત આદિ ધર્મગ્રંથોનું પઠન કરતાં હતા. તેથી આપણે તેમના જીવનમાંથી નિત્ય વાંચનનો ગુણ કેળવવો જોઈએ અને આપણા જીવનને આદર્શ બનાવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.


Related Posts

Load more