Narmada ના સાગબારામાં રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ

By: Nation Gujarat Team
02 Aug, 2026

Narmada : આ આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચેલા લોકસભા સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ખોપી ગામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

સાગબારામાં રાજકીય ડ્રામા

આ દરમિયાન ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારી અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ચર્ચા દરમિયાન ફોરેસ્ટ અધિકારી દ્વારા સાંસદને અપશબ્દો અને ગાળો બોલવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. સાંસદ સાથે થયેલા આ દુર્વ્યવહારના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ઉમરપાડા અને સુરત તરફથી આવેલા પોલીસ કર્મચારીઓ તેમજ વનકર્મીઓ અને સાંસદ મનસુખ વસાવા આમને-સામને આવી ગયા હતા.

જંગલની જમીનનો વિવાદ ચરમસીમાએ

જનપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચેનો આ ટકરાવ ચરમસીમાએ પહોંચતા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. આદિવાસી ખેડૂતોના અધિકારો અને જમીન બાબતે ચાલી રહેલા આ સંઘર્ષમાં સાંસદ ખુદ મેદાને ઉતર્યા છે. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. સાંસદ સાથે થયેલા આ વર્તન સામે સ્થાનિક સ્તરે અને રાજકીય મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે આદિવાસી ખેડૂતોના સમર્થન અને વન વિભાગની કાર્યવાહી વચ્ચેનો આ વિરોધ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે.


Related Posts

Load more