દેશની 1 લાખથી વધુ સ્કૂલોમાં એક જ શિક્ષક, જાણો આ યાદીમાં કયું રાજ્ય છે ટોચ પર

By: Nation Gujarat Team
30 Jul, 2026

UDISE Report 2025-26: દેશમાં શિક્ષણના સુધારા અને ‘સબ પઢેં, સબ બઢેં’ના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા અધિકૃત આંકડા મુજબ, દેશભરમાં 1,00,843થી પણ વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. રાજ્યસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આપેલા આ જવાબથી સ્પષ્ટ થાય છે કે, કાગળ પર વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર ભલે યોગ્ય દેખાતો હોય, પણ વાસ્તવમાં શિક્ષકોની ભારે અછત અને અસમાન ગોઠવણી છે.

આંધ્ર પ્રદેશ ટોપ પર, 7 રાજ્યોમાં જ 65% ‘સિન્ગલ-ટીચર’ શાળાઓ

યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+) 2025-26ના આંકડા અનુસાર, આ મામલે આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. રાજ્યમાં 16,357 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય આંકડાના 16% કરતાં પણ વધુ છે. દેશની કુલ એક શિક્ષકવાળી શાળાઓમાંથી લગભગ 65% શાળાઓ માત્ર 7 રાજ્યોમાં જ આવેલી છે.

સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ 7 રાજ્યો:

આંધ્ર પ્રદેશ: 16,357 શાળાઓ
ઝારખંડ: 9,827 શાળાઓ
મહારાષ્ટ્ર: 9,269 શાળાઓ
કર્ણાટક: 8,042 શાળાઓ
ઉત્તર પ્રદેશ: 7,874 શાળાઓ
રાજસ્થાન: 7,200 શાળાઓ
પશ્ચિમ બંગાળ: 6,769 શાળાઓ

અન્ય રાજ્યોની સ્થિતિ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રદેશો

આ સમસ્યા માત્ર ચોક્કસ રાજ્યો પૂરતી સીમિત નથી, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાયેલી છે. તેલંગાણામાં 4,793, તમિલનાડુમાં 3,957, અસમમાં 3,159, હિમાચલ પ્રદેશમાં 3,128, ઉત્તરાખંડમાં 2,655 અને છત્તીસગઢમાં 2,461 શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે.

બીજી તરફ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. કેરળમાં આવી માત્ર 67, નાગાલેન્ડમાં 35, સિક્કિમમાં 31, લદ્દાખમાં 28, દિલ્હીમાં 7 અને અંદમાન-નિકોબારમાં માત્ર 1 શાળા જ એક શિક્ષક પર નિર્ભર છે.

રાષ્ટ્રીય સરેરાશ અને હકીકત વચ્ચેનો તફાવત

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ દેશમાં સરેરાશ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર યોગ્ય મર્યાદામાં છે. પ્રાઇમરી લેવલે દર 19 બાળકો પર 1 શિક્ષક, અપર પ્રાઇમરીમાં દર 17 બાળકો પર 1, સેકન્ડરીમાં દર 15 બાળકો પર 1 અને હાયર સેકન્ડરીમાં દર 23 બાળકો પર 1 શિક્ષકની સરેરાશ છે. પરંતુ આ સરેરાશ આંકડા એ વાસ્તવિકતાને છુપાવે છે કે જમીની સ્તરે એક જ શિક્ષકને અભ્યાસ કરાવવાની સાથે સાથે વહીવટી કામગીરી, મિડ-ડે મીલની દેખરેખ અને અલગ-અલગ ધોરણના બાળકોને એકસાથે ભણાવવાની ફરજ પડે છે.

ખાલી પદો અંગે સરકારની સ્પષ્ટતા

સંસદમાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોની ભરતી, સેવાની શરતો અને શાળાઓમાં તેમની ગોઠવણી કરવાની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોય છે. શિક્ષકોની નિવૃત્તિ, રાજીનામા, નવા પદોનું સર્જન અને ગ્રામીણ કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થતા સતત ફેરફારને કારણે પદો ખાલી રહેતા હોય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યોને પારદર્શક પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યાઓ ભરવાની સલાહ આપવામાં આવે છે અને ‘સમગ્ર શિક્ષા’ યોજના હેઠળ આ માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.


Related Posts

Load more