અમદાવાદના જોધપુર વિસ્તારમાં સ્ટાર બજાર પાછળ ત્રિનય અનઘ નામની બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ બે વખત ધસી પડવાની ઘટના બાદ પાસે આવેલી સેટેલાઇટ પાર્ક સોસાયટીના બે બ્લોક ખાલી કરવા મ્યુનિ.એ તાકીદ કરતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી પેદા થઈ છે.
બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ ફરી ધસી પડી
જોધપુર વિસ્તારમાં જૈન દેરાસર પાસે ત્રિનય અનઘ નામની બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ 6 જુલાઇના રોજ ધસી પડી હતી. ત્યારે બિલ્ડર અને મ્યુનિ.એ એક બીજાની બેદરકારી અંગે ખો આપી હતી. ત્યાર બાદ ગત શુક્રવારે ફરી બાકી રહેલી દીવાલનો ભાગ પણ ધસવા માંડ્યો હતો. મ્યુનિ.એ હાલ અહીં બાંધકામ સ્થગિત કરાવ્યું છે, પરંતુ ધસી પડેલી દીવાલના કારણે પાસે જ આવેલી ન્યુ પ્રભૂપાર્ક સોસાયટી એટલે કે સેટેલાઇટ પાર્કના બ્લોક એચ અને આઇ માટે જોખમી સ્થિતિ પેદા થઈ છે. પરિણામે મ્યુનિ.એ ગત શનિવારે નોટિસ આપીને આ બંને બ્લોક સલામતીના ભાગરૂપે તાત્કાલિક ખાલી કરીને વપરાશ બંધ કરવા તાકીદ કરાઈ છે. આ બંને બ્લોકમાં આશરે 60 જેટલા પરિવારો વસવાટ કરે છે.
જેમનો કોઈ વાંક નથી. નવી બાંધકામ સાઇટના બિલ્ડર અને મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ પરિવારોએ ભોગવવાનો વારો આવતા સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ છે. તાજેતરમાં નારણપુરામાં ખુદ હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્કીમની ડાયાફ્રામ વોલ ધસી પડતા નજીકમાં આવેલા સૂર્યા અપાર્ટમેન્ટના 12 પરિવારોને પણ આવી રીતે જ મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા.