ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટઃ ચાંદીપુરા વાયરસ શું છે? જાણો

By: Nation Gujarat Team
10 Jul, 2026
Chandipura Virus In Sabarkantha: સાબરકાંઠા જિલ્લા અને પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)નો કહેર વર્તાઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસના એક પછી એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવાયો છે. એવામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકીનું શંકાસ્પદ વાયરસથી મૃત્યુ થયું છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના સંક્રમણને કારણે 15 દિવસમાં ત્રણ બાળકોના મોત થયા બાદ વધુ એક ત્રણ વર્ષની બાળકીનું શંકાસ્પદ વાયરસથી મોત થયું છે. આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીના જણાવ્યા મુજબ, આ બાળકીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 7 જુલાઈના રોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોશીના તાલુકાના દેમતીમેરા ગામની 3 વર્ષીયની બાળકી આકૃતિ પરમારને દાખલ કરવામાં આવી હતી. જોકે, 8 જુલાઈની બપોરે પરિવારજનો ડોક્ટરને જાણ કર્યા વગર બાળકીને લઈને નીકળી ગયા હતા અને રસ્તામાં જ બાળકીનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, આ બાળકીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. હાલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમના પણ રિપોર્ટ આવવાના બાકી છે. આ બંને બાળકીઓ PICUમાં સારવાર લઈ રહી છે.
અત્રે ઉલ્લેખીય છે કે, તાજેતરમાં જ ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)થી મૃત્યુ થયા હતા. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી. ગત 7 જુલાઈએ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી.
ચાંદીપુરા વાયરસ શું છે? – ચાંદીપુરા વાયરસ એક પ્રકારનો વાયરસ છે જે ભારતમાં, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતના વિસ્તારોમાં જોવા મળે છે. આ વાયરસ મગજમાં સોજો લાવીને એક ગંભીર બીમારી ઊભી કરે છે, જેને એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે. આ વાયરસનું નામ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામ પરથી પડ્યું છે, જ્યાં 1965માં તેની પ્રથમ વખત શોધ થઈ હતી. આ વાયરસ બાળકોમાં ઝડપથી ફેલાઈ શકે છે. આ બીમારી મુખ્યત્વે 15 વર્ષથી નાના બાળકોને અસર કરે છે. ખાસ કરીને 2થી 16 વર્ષની ઉંમરના બાળકોમાં આ જોખમ વધુ હોય છે. નાના બાળકોનું શરીર આ વાયરસ સામે ઓછું મજબૂત હોય છે, તેથી તેઓ વધુ ઝડપથી ગંભીર બની જાય છે.

આ બીમારી રેતીની માખીઓ (સેન્ડફ્લાય)ના કરડવાથી થાય છે. આ ખૂબ નાની માખીઓ હોય છે જે રાત્રે અથવા સવારે સક્રિય રહે છે. જ્યારે આ માખી કોઈ ચેપગ્રસ્ત પ્રાણીને કરડે છે અને પછી માણસને કરડે છે, ત્યારે વાયરસ શરીરમાં પ્રવેશે છે. વરસાદી ઋતુમાં આ માખીઓની સંખ્યા વધે છે, તેથી આ સમયે કેસ વધુ જોવા મળે છે. આ બીમારી માણસથી માણસમાં સીધી ફેલાતી નથી.
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? – ચાંદીપુરા વાયરસના લક્ષણો શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લાગે છે, પરંતુ તે ખૂબ ઝડપથી વધી જાય છે. બાળકને ઊંચો તાવ, માથું દુખવું, શરીરમાં દુખાવો, થાક અને ઉલ્ટી આવી શકે છે. પછી 24થી 72 કલાકમાં આંચકી (ફિટ્સ) આવી શકે છે. ઘણા કિસ્સાઓમાં બીમારી ખૂબ જ ઝડપથી વધે છે અને મૃત્યુનું જોખમ વધારે હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે મચ્છરદાનો ઉપયોગ કરો, આસપાસની જગ્યા સ્વચ્છ રાખો, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દો, ઘરની દિવાલોની તિરાડો પુરાવી દે, જો બાળકોમાં આ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

Related Posts

Load more