જામનગર: જિલ્લામાં રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવોના વિશ્વનાં સૌથી મોટા રેસ્ક્યુ સેન્ટર તથા કૃત્રિમ નિવાસ સ્થાન ‘વનતારા’ નિહાળવા માટે એક પછી એક દેશના મહાનુભાવો, ધર્મગુરુઓ વગેરે જામનગર આવી રહ્યા છે. જેનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે.
જામનગરના એરપોર્ટ પર વીવીઆઈપી (VVIP) અવરજવર ચાલી જ રહી છે. પરમ દિવસે રવિશંકરજી વનતારા આવ્યા બાદ ગત મોડી રાત્રે બાગેશ્વર ધામના મહંત બાગેશ્વર બાબા તરીકે પ્રસિદ્ધ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ વનતારા નિહાળવા જામનગર આવી પહોંચ્યા હતા.જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે તેમનું આગમન થયું હતું, જેને પગલે તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મ પ્રેમીઓમાં ઉત્કંઠા વ્યાપી ગઇ હતી. રાત્રે જામનગરના એરપોર્ટ પર કેટલાક સમર્થકો જોવા મળ્યા હતા. તેઓએ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રિલાયન્સ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ કાર માર્ગે વનતારા પહોંચ્યા હતા, જ્યાં આજે દિવસ દરમિયાન તેમની વનતારાની મુલાકાત ચાલી રહી છે.