અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ

By: Nation Gujarat Team
24 Feb, 2026

Ahmedabad News: અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર માનવીય સેવા મહેકાવી છે. આરોગ્ય વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે.

દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા

‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે. સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના ડૉક્ટરો જણાવે છે કે, આ એક અત્યંત જટિલ સર્જરી છે. સરેરાશ 4 થી 5 કલાક સુધી ચાલતી આ સર્જરીમાં કરોડરજ્જુને સીધી કરતી વખતે અત્યંત નાજુક ચેતાઓ (Nerves) અને રક્તવાહિનીઓ વચ્ચે કામ કરવાનું હોય છે.

જીવ જવાનો ખતરો અથવા તો લકવો થવાનું જોખમ

સર્જરી દરમિયાન મુખ્ય પડકાર સતત ‘ન્યુરો-મોનિટરિંગ’નો હોય છે. જો કોઈ પણ પગલું ખોટું પડે, તો મુખ્ય રક્તવાહિનીની ઈજાને કારણે દર્દીનો જીવ જઈ શકે છે અથવા જીવનભરનો લકવો (Paralysis) આવી શકે છે. આ જોખમને ખાળવા માટે અમેરિકન ન્યુરો-મોનિટરિંગ ટીમ અને એનેસ્થેસિયા નિષ્ણાતોએ પણ ટેકનિકલ સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ કરાશે, ₹1067 કરોડના ફેઝ-2B પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

ખાનગી હોસ્પિટલમાં 10 લાખ સુધીનો ખર્ચ
આ પ્રકારની જટિલ સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં રૂ. 5 થી 10 લાખ જેટલો આંકવામાં આવે છે. ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ વર્ષ દરમિયાન આવી 30 થી 40 સર્જરીઓ કરે છે. આ કેમ્પમાં 9 વર્ષના એક બાળક પર ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ કરવામાં આવી હતી, જે આધુનિક મેડિકલ સાયન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ બાળકની ઉંમર વધવાની સાથે તેની કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરશે. આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો અને દર્દીઓનેને લાભ આપવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રીએ ઈન્ડો-અમેરિકન ડૉક્ટરોના માનવીય અભિગમને બિરદાવ્યો હતો.

પોસ્ટ સર્જરી રિહેબિલિટેશન પર નજર

સંસ્થાના નિયામકે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ‘ઇન્ડો-અમેરિકન-ઇન્ટરનેશનલ’ સહયોગને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ પ્રકારના સહયોગ દ્વારા માત્ર જટિલ સારવાર જ શક્ય નથી બનતી, પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો માટે ‘શૈક્ષણિક એક્સચેન્જ પ્રોગ્રામ’ને પણ વેગ મળશે. આનાથી ગુજરાતમાં મેડિકલ અને સર્જિકલ શિક્ષણના વિકાસમાં પાયાનું યોગદાન મળશે. સર્જરી બાદ દર્દીઓ માટે ‘પોસ્ટ સર્જરી રિહેબિલિટેશન’ (પુનર્વસન) પણ એટલું જ મહત્વનું છે, જેના પર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે ઉચ્ચ ટેકનોલોજી અને નિષ્ણાત હાથોનો સમન્વય સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

ગુજરાત ભાજપના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું


Related Posts

Load more