Ahmedabad Rain: અમદાવાદમાં ગત (19મી સપ્ટેમ્બર) સાંજે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
બાકરોલમાં સૌથી વધુ 1.25 જ્યારે લાંભામાં પોણો ઈંચ જેટલો જ્યારે અડધા ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં સરેરાશ 34.85 ઈંચ સાથે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ સીઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે. જિલ્લામાં અત્યારસુધી 28.67 ઈંચ સાથે સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. અન્યત્ર જ્યાં 100 ટકા વરસાદ નોંધાયો હોય તેમાં વિરમગામ, માંડલ, ધોળકા, ધંધુકા, દેત્રોજ, દસક્રોઈનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી થયેલી મેઘમહેરથી જળસ્તરમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69.96 ટકા પહોંચ્યું છે, જ્યારે 43 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ થઈ જતાં તેમને હાઇ ઍલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્યના 28 જળાશયો હાલ સંપૂર્ણપણે છલોછલ છે. જ્યારે 39 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે, 25માં 50થી 70 ટકા વચ્ચે અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત, 73 જળાશયોમાં હજુ જળસ્તર 25 ટકાથી નીચું છે. જિલ્લાવાર વાત કરીએ તો, ભાવનગરના પાંચ, અમરેલીના ચાર અને બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી તેમજ રાજકોટના બે-બે જળાશયો છલોછલ ભરાયા છે. આ સાથે જ કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના 1-1 જળાશયનો પણ આ છલોછલ ડેમોમાં સમાવેશ થાય છે.