હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

By: Nation Gujarat Team
12 Mar, 2026

Gujarat Govt. Employees News: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તબીબી સારવારના લાભો મુખ્યત્વે પત્ની/પતિ, બાળકો અને માતા-પિતા સુધી મર્યાદિત હતા, પરંતુ હવે તેમાં નિર્ભર ભાઈ-બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શું ફેરફાર કરવામાં આવ્યો?

ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો હેઠળ ‘કુટુંબ’ની જૂની વ્યાખ્યાને રદ કરી, તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. નવા સુધારા મુજબ, હવે કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય તેવા સભ્યોને પણ મેડિકલ બેનિફિટ્સ મળશે.

નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે. જોકે, તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ.

‘નિર્ભર’ કોને ગણવામાં આવશે?

સરકારે આર્થિક નિર્ભરતા માટેની મર્યાદા પણ સ્પષ્ટ કરી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતો (પેન્શન સહિત) માંથી થતી માસિક આવક ₹500થી વધુ ન હોય, તો જ તેઓ કર્મચારી પર ‘પૂર્ણત: આશ્રિત’ ગણાશે અને તેમને આ યોજનાનો લાભ મળશે.

ક્યારથી અમલમાં આવશે?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નિયમોમાં કરવામાં આવેલો આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગીય સરકારી પરિવારોને આર્થિક મોટી રાહત મળશે અને માંદગીના સમયે પરિવારના અન્ય સભ્યોની સારવારનો બોજ હળવો થશે.


Related Posts

Load more