જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી .
સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ‘એનાલોગ પનીર’ એ દૂધનું પનીર નથી. તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ પનીર દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નફો વધારવા માટે આ પ્રકારના સબ-સ્ટાન્ડર્ડ પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી શકે છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે “અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે.” આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડાથી થઈ હતી. સુરતમાં તાજેતરમાં જ 1400 કિલો જેટલું સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ જ્યારે આ પનીરની તપાસ કરી ત્યારે તેમાં તેલ અને પાવડરનું મિશ્રણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને સમગ્ર રાજ્યમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને ડેરીઓ અને હોલસેલ સપ્લાયર્સ પર નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ હોટલ સંચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નહોતું. હવે નવી ગાઈડલાઈન મુજબ, દરેક ખાદ્ય એકમે પનીરની ગુણવત્તા જાહેર કરવી પડશે. જો કોઈ હોટલમાં પનીર ટીક્કા કે પનીર બટર મસાલા ઓર્ડર કરવામાં આવે અને તેમાં એનાલોગ પનીર હોય, તો તેની જાણકારી ગ્રાહકને અગાઉથી મળવી જોઈએ. આ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસલી પનીર નરમ હોય છે અને તેને મસળતા તે દાણાદાર બની જાય છે. જ્યારે એનાલોગ પનીર થોડું રબર જેવું ખેંચાય તેવું હોઈ શકે છે અને તેને ગરમ કરવા પર તે તેલ છોડવા લાગે છે. વનસ્પતિ તેલમાંથી બનતું હોવાથી તેનો સ્વાદ પણ અસલી પનીર જેવો મીઠો હોતો નથી. પાલિકાના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો તમને કોઈ હોટલમાં પનીરની ગુણવત્તા પર શંકા જાય, તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરો.
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ કે કેટરિંગ સર્વિસ બોર્ડ લગાવ્યા વગર એનાલોગ પનીર પીરસતા પકડાશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર નિયમો તોડનાર એકમોને સીલ કરવાની પણ તૈયારીઓ બતાવી છે. સરકારનું લક્ષ્ય છે કે ઉત્સવો અને લગ્નગાળામાં જ્યારે પનીરનો વપરાશ ટોચ પર હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે.
અંતમાં, આરોગ્ય મંત્રીએ જનતાને પણ જાગૃત રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ‘તમે પૈસા ચૂકવો છો તો શુદ્ધ ચીજવસ્તુઓ મેળવવાનો તમારો હક છે.’ હોટલમાં જતી વખતે અચૂક પૂછો કે પનીર કયું વાપરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર મોટી બ્રેક લાગશે તેવી આશા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે હોટલ સંચાલકો આ નવા નિયમનો કેટલા અંશે અમલ કરે છે.