SpiceJet Delhi Pune Flight AC Failure: મુસાફરોથી ભરેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ ટેકઑફ થાય તે પહેલાં જ પાર્કિંગ બેમાં પાછી ફરવું પડ્યું હતું. દિલ્હીથી પૂણે જતી ફ્લાઇટની એર કન્ડીશનીંગ(AC) સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે કેબિનમાં તીવ્ર ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. સ્પાઈસ જેટની ફ્લાઇટમાં AC બગડતાં અફરાતફરી સર્જાઈ હતી, તેવામાં મુસાફરોએ કહ્યું કે, ‘શ્વાસ નથી આવતો, ગેટ ખોલો…’ જેમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે 100થી વધુ મુસાફરોએ મુસાફરી ચાલુ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. કેટલીક મહિલા મુસાફરોની તબિયત લથડતાં તેઓને વ્હીલચેરમાં ટર્મિનલ લઈ જવી પડી હતી.
શું હતી સમગ્ર ઘટના?
ફ્લાઇટમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે, દિલ્હીથી આવતી ફ્લાઇટ મંગળવારે(11 ઑગસ્ટ) રાત્રે 9:30 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે મોડી પડી હતી અને 11:30 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં ચઢતી વખતે મુસાફરોને કેબિન ખૂબ જ ગરમ અને ભેજવાળી લાગ્યું હતું. જેમાં AC કામ કરતું ન હોવાનું જણાયું હતું. શરૂઆતમાં મુસાફરોએ ધીરજ રાખી કારણ કે ટેક્સી, ટેકઑફ તથા ફ્લાઇટનો દરવાજા બંધ થયા પછી AC સંપૂર્ણપણે ચાલુ થઈ જાય છે. પરંતુ રનવે પર લગભગ 40થી 45 મિનિટ સુધી ટેક્સી કર્યા પછી પણ AC ચાલુ થયું નહોતું.
ઘણા મુસાફરોને તીવ્ર ગરમી અને વેન્ટિલેશનના અભાવે ગૂંગળામણ થવા લાગી હતી. જ્યારે તેમણે કેબિન ક્રૂને AC ચાલુ કરવાનું કહ્યું, ત્યારે તેમને ફક્ત બેસી રહેવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરોમાં ગર્ભવતી મહિલાઓ પણ હતી અને પરસેવાથી લથપથ ઘણા લોકો બેભાન થવાને આરે હતા. આનાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો, તેઓ પોતાની સીટ પરથી ઊભા થયા અને ફ્લાઇટના દરવાજો ખોલવાનો આગ્રહ કર્યો હતો અને તાત્કાલિક ટેકઑફ અટકાવવાની માગ કરી હતી
હોબાળા પછી ફ્લાઇટ પરત
મુસાફરો દ્વારા ભારે વિરોધને ધ્યાનમાં રાખીને ટેકઑફ રદ કરવામાં આવ્યું હતું અને ફ્લાઇટને પાછી લાવવામાં આવી હતી. આખરે ક્રૂએ દરવાજા ખોલ્યા અને મુસાફરોને નીચે ઉતાર્યા. ફ્લાઇટમાંથી ઉતર્યા પછી ઘણા મુસાફરોએ એરલાઇન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સીધા જ ટાર્મેક પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉશ્કેરાયેલા મુસાફરોએ ‘સ્પાઇસજેટ બંધ કરો’ના નારા લગાવ્યા હતા.
વ્હીલચેર પર આધાર રાખવો પડ્યો
ઘણી મહિલાઓને એક કલાકથી વધુ સમય સુધી ગરમીમાં ફસાયા બાદ ચક્કર આવવા લાગ્યા હતા. તેમને વ્હીલચેરની મદદથી ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી.
હોબાળા બાદ સ્પાઇસજેટે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. આ વૈકલ્પિક ફ્લાઇટ બુધવારે(12 ઑગસ્ટ) સવારે 5:30 વાગ્યે દિલ્હીથી રવાના થઈ અને સવારે 7:00 વાગ્યે પૂણે પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે સ્પાઇસજેટ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.