બિહારના ચાણક્યએ સંસદમા જતા પહેલા ભાજપ પાસે એવી માંગ કરી હવે ભાજપ મુશ્કેલીમાં મુકાયું

By: Nation Gujarat Team
06 Mar, 2026

બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભામાં જવાના હોવાની ચર્ચાઓ વચ્ચે જેડીયુ (JDU) એ ભાજપ સામે એક મોટી શરત મૂકી હોવાના અહેવાલ મળી રહ્યા છે. નીતીશ કુમારે રાજ્યસભા માટે નામાંકન ભરવાની સાથે જ બિહારના શક્તિશાળી ગૃહ મંત્રાલય પર ફરીથી દાવો ઠોક્યો છે.

ગૃહ મંત્રાલય પર જેડીયુનો દાવો

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપ સામે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલું ગૃહ વિભાગ ફરીથી જેડીયુને મળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી એનડીએ સરકારમાં આ વિભાગ નીતીશ કુમાર પાસે જ રહેતો હતો, પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ આ વિભાગ ભાજપના ફાળે ગયો હતો. જેડીયુમાં આ બાબતે લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો હતો.

સત્તાનું નવું ફોર્મ્યુલા

નીતીશ કુમાર રાજ્યસભામાં જાય તેવા કિસ્સામાં બિહાર સરકારનું માળખું સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હવે ‘ભાજપનો મુખ્યમંત્રી અને જેડીયુના બે ડેપ્યુટી સીએમ’ વાળું નવું ફોર્મ્યુલા અમલમાં આવી શકે છે. જો આવું થશે, તો બિહારના રાજકારણમાં વર્ષો પછી નેતૃત્વ જેડીયુના હાથમાંથી નીકળીને ભાજપના હાથમાં જશે.

સીએમની રેસમાં કોણ આગળ?

હાલમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પાસે ગૃહ વિભાગની જવાબદારી છે અને તેમની દાવેદારી સૌથી મજબૂત માનવામાં આવે છે. ભાજપ પાસે 89 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી મુખ્યમંત્રી પદ પર તેમનો દાવો સ્વાભાવિક છે. જોકે, નીતીશ કુમાર આ પદ છોડતા પહેલા ગૃહ વિભાગ જેડીયુ પાસે રહે તેવો આગ્રહ રાખી રહ્યા છે જેથી વહીવટીતંત્ર પર તેમનો પ્રભાવ જળવાઈ રહે.

નીતીશની ‘પાંચ પ્રતિજ્ઞા’

નીતીશ કુમારે રાજ્યસભા જતા પહેલા કેટલીક શરતો અને પ્રતિજ્ઞાઓ પણ રાખી છે. જો નવો મુખ્યમંત્રી આ શરતો પર ખરો નહીં ઉતરે, તો આગામી સમયમાં એનડીએમાં આંતરિક ખેંચતાણ વધી શકે છે. હાલમાં સમ્રાટ ચૌધરી સિવાય અન્ય નામો પર પણ મંથન ચાલી રહ્યું છે, જે કદાચ સૌને ચોંકાવી શકે છે.


Related Posts

Load more