ગામની દયનીય સ્થિતિ અને નુકસાન
ભટાસણા ગામના નરશીભાઈ ભાટાએ જણાવ્યું કે, 2015 અને 2017ના પૂરની સરખામણીએ 2025ના વરસાદે ગામની પરિસ્થિતિ અત્યંત ખરાબ કરી દીધી છે. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, અને અનેક પશુઓનાં મોત થયાં છે. ગામમાં પાણીનું સ્તર એટલું ઊંચું છે કે લોકો ન તો ગામમાંથી બહાર જઈ શકે છે કે ન તો ખેતરમાંથી ગામમાં આવી શકે છે. 1400ની જનસંખ્યા ધરાવતું આ ગામ હાલ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગામની ડેરી પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, અને પાણીના પ્રવાહમાં અનેક પશુઓ તણાઈ ગયા છે, જેમાંથી કેટલાંકનાં મોત થયાં છે. ખેતીમાં વાવેલા પાકો પણ પાણીમાં ડૂબવાને કારણે નષ્ટ થવાની કગાર પર છે.