દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
|
વિગત
|
આંકડા
|
|
સૌથી વધુ વરસાદ (ઉમરગામ)
|
43 ઇંચ (28 કલાકમાં)
|
|
સ્થળાંતરિત નાગરિકો
|
2,900 થી વધુ
|
|
બંધ પંચાયત રસ્તાઓ
|
300 થી વધુ
|
|
રદ કરાયેલી ST બસ ટ્રીપ
|
200 થી વધુ
|
|
નવસારી રેસ્ક્યૂ (11 ગામો)
|
200 થી વધુ લોકો
|
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહત કમિશનર તરફથી મળતી માહિતી મુજબ:
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી કુદરતી આફતની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રૂબરૂ પહોંચીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.
સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર છે ત્યારે શહેર ગામડાના અનેક રહેણાંક વિસ્તાર સાથે અન્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે થતી સ્થિતિ માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ સ્થિતિ સાથે હવે બીજી એક ચિંતાજનક સ્થિતિ બહાર આવી છે આ સ્થિતિ જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક બની રહી છે.
આવી જ એક હૃદયદ્રાવક સ્થિતિ ગુરુવારે વહેલી સવારે સુરત-ઓલપાડ રોડ પર જોવા મળી હતી. સરોલીથી તલાદ પાટિયા વચ્ચેના માર્ગ પર મોટી સંખ્યામાં સાપો રોડ પર જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ સાપ, કાચબા અને દેડકા સહિતના અન્ય જીવો ભારે વાહનોની અડફેટે આવી મૃત હાલતમાં પડ્યા હતા, જ્યારે અનેક સાપો હજુ પણ જીવ બચાવવા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વરસાદી રાત્રિ દરમિયાન જોવા મળેલા આ દૃશ્યોએ અનેક વાહનચાલકોને પણ થોભી જવા મજબૂર કર્યા હતા.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ વરસાદી ઋતુમાં રાત્રિના સમયે વન્યજીવોની અવરજવર વધી જાય છે. ખાસ કરીને ખાડી, નદી, ખેતી વાળા વિસ્તારો અને જંગલની નજીક આવેલા માર્ગો પર રોડ કીલની ઘટના વધુ બનતી હોય છે. સુરત-ઓલપાડ રોડ પર જોવા મળેલી ઘટના માત્ર એક ઉદાહરણ છે. દર વર્ષે રાજ્યના અનેક રસ્તાઓ પર અસંખ્ય સાપ, કાચબા અને અન્ય નાના વન્યજીવો વાહનોની અડફેટે આવી જીવ ગુમાવે છે. પર્યાવરણપ્રેમીઓના મત મુજબ ‘રોડ કીલ’ માત્ર જીવદયાનો મુદ્દો નથી, પરંતુ જૈવ વૈવિધ્યના સંરક્ષણ સાથે જોડાયેલો ગંભીર વિષય છે