ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા, શિક્ષકોની ભરતીની માંગ સાથે હલ્લાબોલ

By: nationgujarat
05 Sep, 2024

ગાંધીનગરમાં TAT અને TETના ઉમેદવારો શિક્ષકોની સરકારી શાળામાં ભરતીની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. શિક્ષક દિનના દિવસે જ ભાવિ શિક્ષકોએ ગાંધીનગર ખાતે આંદોલનનું રણશિંગું ફૂક્યું છે. ગત મહિને TAT અને TETના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતા સરકારે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી. TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારો રસ્તા પર ઉતર્યા છે.

મળતી માહિતી અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ 4000 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થવાનું હતું, પરંતુ તે જાહેર ન થતાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકો મેદાને ઉતરી આવ્યા છે. આજે શિક્ષક દિને ટેટ-ટાટના ઉમેદવારો ગાંધીનગર મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.

ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ 3 સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરુ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.


Related Posts

Load more