અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ 40 દિવસ ચાલેલા યુદ્ધમાં બુધવારે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ હતી, પરંતુ ઈઝરાયલના હુમલાઓના કારણે આ યુદ્ધવિરામ હજુ અનિશ્ચિત છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેન્ક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે દુનિયાભરમાં માત્ર ઊર્જા સંકટ પેદા નથી થયું, પરંતુ ખાદ્યાન્નની અનિશ્ચિતતાની પણ સમસ્યા ઊભી થઈ છે. આગામી સમયમાં સમગ્ર દુનિયામાં અનાજના ભાવોમાં તિવ્ર ઊછાળો આવી શકે છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે દુનિયાની ત્રણ મોટી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેન્ક અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ગંભીર ચેતવણી આપતા સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા બજારના સંકટની ખતરનાક અસર હવે દુનિયાની ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાને યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી પણ ઈઝરાયેલના હુમલા ચાલુ રહેવાના સંજોગોમાં ત્રણેય સંસ્થાઓએ એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી કહ્યું કે, આ યુદ્ધ આધુનિક ઈતિહાસમાં ઊર્જા બજારો માટે સૌથી મોટા અવરોધો ઊભા કરનારું સાબિત થયું છે. ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં તીવ્ર વધારાએ માત્ર પરિવહન જ મોંઘું નથી કર્યું, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઈન પર અસર કરી છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધ ક્ષેત્રમાં ખાદ્ય ઉત્પાદન પર અસર થઈ છે અને તેના ભાવ વધવાથી ખેતીનો ખર્ચ પણ વધી ગયો છે. પરિણામે ભવિષ્યમાં અનાજની ઊપજ અને ઉપલબ્ધતા પર સંકટ ઊભું થયું છે.
સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે અનાજના ભાવમાં વધારાની સૌથી વધુ ગંભીર અસર દુનિયાના સૌથી નબળા દેશો અને એવા દેશો પર પડશે જેઓ પોતાની ખાદ્ય જરૂરિયાતો માટે અનાજની આયાત પર નિર્ભર છે.
ઓછી આવક ધરાવતા અનેક દેશો પહેલાથી જ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા છે. એવામાં ઈંધણ અને ભોજનના વધતા ભાવ સરકારોની એ ક્ષમતાઓને ખતમ કરી નાંખશે, જેનાથી તેઓ પોતાના ગરીબ નાગરિકોને સબસિડી અથવા સુરક્ષા પૂરી પાડે છે.
આયાત પર નિર્ભર દેશોમાં ખાદ્ય અસુરક્ષા અને ભૂખમરાનું જોખમ વધી ગયું છે. અમેરિકા અને ઈરાને બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે, પરંતુ આઈએમએફ અને વર્લ્ડ બેન્કનું માનવું છે કે જોખમ હજુ ટળ્યું નથી. ત્રણેય સંગઠનોએ દુનિયામાં લોકોને પોતાની ક્ષમતાઓના બળે અસરગ્રસ્ત લોકોની મદદ કરવાની સલાહ આપી છે.