થોડા દિવસો પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરીને ધમકી આપવામાં આવી હતી. જેને લઇને પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિરમાં તપાસ કરી હતી અને પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
બે વાર મળ્યા ધમકીભર્યા કોલ
પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બ વડે ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન બે વાર આવ્યા હતા. જેને લઇને પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં જ પોલીસે ધમકી આપનાર તોસિફ આદમ પટેલ નામના યુવકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી લીધી છે.
બદલો લેવા રચ્યું કાવતરૂ
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવકે પોતાના પરિવારિક ઝઘડામાં તેના ભાઇ અને બનેવીને ફસાવવા આ સમગ્ર કાવતરૂ ઘડ્યું હતું. તેણે ધમકીભર્યો ફોન દહેજ બાયપાસ રોડ પરથી કર્યો હતો. તોફિસે સ્વિકાર્યું હતું કે મંદિરમાં કોઇ બોમ્બ નથી તેને માત્ર બીજાને ફસાવવા માટે આ કોલ કર્યા હતો.