VB-G RAM G Act: કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2026થી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય અમલી બનાવ્યો છે. સરકારે વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી-જી રામ જી એક્ટ, 2025 લાગુ કર્યો છે. આ નવા કાયદા હેઠળ ગ્રામીણ મજૂરોને હવે વર્ષમાં 100થી વધીને 125 દિવસના રોજગારની કાનૂની ખાતરી મળશે. સાથે જ સરકારે તેમની દૈનિક મજૂરીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. આ બદલાવથી દેશના લાખો શ્રમિક પરિવારોને આર્થિક સુરક્ષા અને નવી આશા પ્રાપ્ત થશે.
નવા કાયદા હેઠળ પાત્ર ગ્રામીણ પરિવારો માટે રોજગારની મર્યાદા વધારી દેવાઈ છે. અગાઉ મનરેગા અંતર્ગત 100 દિવસના કામની ખાતરી મળતી હતી. હવે આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દૂર કરવાનો છે. આ કાયદો મજૂરોની આજીવિકાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
સરકારે દેશભરમાં સરેરાશ દૈનિક મજૂરી 298.8 રૂપિયાથી વધારીને 327.4 રૂપિયા કરી છે. આમ મજૂરોની દૈનિક આવકમાં 28.6 રૂપિયાનો વધારો થયો છે. સરકારે સમગ્ર દેશમાં 300 રૂપિયા પ્રતિ દિવસની લઘુત્તમ મજૂરી નક્કી કરવામાં આવી છે. હવે કોઈ પણ રાજ્યમાં મજૂરોને 300 રૂપિયાથી ઓછું વેતન મળશે નહીં. આ નિયમ સાથે અગાઉના વેતનમાં સરેરાશ 10 ટકાનો વધારો કરાયો છે.
ઘણા રાજ્યોમાં મજૂરીના દરમાં 15 થી 25 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં 24.5 ટકાનો સૌથી વધુ વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં મજૂરી દર વધુ છે. હરિયાણામાં 409 રૂપિયા, ગોવામાં 406 રૂપિયા અને કેરળમાં 401 રૂપિયા દૈનિક મજૂરી નિર્ધારિત છે. સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારો માટે આ દર 450 રૂપિયા રાખવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે આ યોજનાના અમલીકરણ માટે 95692.31 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ નાણાકીય સહાયથી મજૂરોને સમયસર વેતન ચૂકવવામાં સરળતા રહેશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ કાયદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમનું માનવું છે કે આ પગલું વિકસિત ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કોઈ પણ ગરીબ મજૂર કામથી વંચિત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.