કટરા : શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી એકવાર મુલતવી રાખવામાં આવી, ભારે વરસાદના લીધે લેવાયો નિર્ણય!

By: Krunal Bhavsar
13 Sep, 2025

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત મા વૈષ્ણોદેવીની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા મુલતવી રાખવાનું મુખ્ય કારણ હવામાનમાં અચાનક પલટો અને ભવન પરિસર તેમજ યાત્રાના તમામ માર્ગો પર સતત વરસાદ પડી રહ્યો છે. આ નિર્ણયથી મા વૈષ્ણોદેવીના દર્શન માટે આવેલા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે.

શ્રી માતા વૈષ્ણો દેવી બોર્ડે યાત્રા મુલતવી રાખવાનો લીધો નિર્ણય

નોંધનીય છે કે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે શનિવારે રાત્રે 8:00 વાગ્યે પોતાના સત્તાવાર X હેન્ડલ પર આ અંગેની જાહેરાત કરી હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. જો આવતા સોમવારે અથવા થોડા દિવસોમાં હવામાનમાં સુધારો થશે, તો યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ભારે વરસાદના લીધે અટકાવવામાં આવી 

ઉલ્લેખનીય છે કે શ્રાઈન બોર્ડના જણાવ્યા મુજબ, યાત્રા ફરી શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદે ફરી એકવાર અવરોધ ઊભો કર્યો છે. મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ ભવન પરિસર, કટરા અને યાત્રાના તમામ રૂટ પર ચાલુ રહ્યો, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ નિર્ણયથી કટરા ખાતે મા વૈષ્ણોદેવીના દર્શનની રાહ જોઈ રહેલા ભક્તોમાં નિરાશા જોવા મળી. ઘણા ભક્તોએ યાત્રા માટે લાંબી તૈયારીઓ કરી હતી, પરંતુ હવામાનની આડઅસરે તેમની યોજનાઓ પર પાણી ફેરવી દીધું. શ્રાઈન બોર્ડે ભક્તોને આગળની સૂચનાઓની રાહ જોવા અને હવામાનની સ્થિતિ સુધરે ત્યાં સુધી ધીરજ રાખવા અપીલ કરી છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. બોર્ડના પ્રવક્તાએ કહ્યું, “અમે ભક્તોની લાગણીઓને સમજીએ છીએ, પરંતુ હવામાનની પરિસ્થિતિને કારણે યાત્રા હાલ શરૂ કરવી શક્ય નથી. અમે સતત હવામાન પર નજર રાખી રહ્યા છીએ અને શક્ય તેટલી જલદી યાત્રા ફરી શરૂ કરવા પ્રયત્નશીલ છીએ.”આ પહેલા પણ હવામાનની ખરાબ સ્થિતિને કારણે યાત્રા મુલતવી રાખવામાં આવી હતી, જે ભક્તો માટે નિરાશાજનક રહ્યું છે. જોકે, શ્રાઈન બોર્ડે ભક્તોને આશ્વાસન આપ્યું છે કે હવામાન સુધરતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે, અને આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.


Related Posts

Load more